ભારતઃ Axiom-4 મિશનનું લોન્ચિંગ ફરી સ્થગિત
નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓની અવકાશ મથકની ઐતિહાસિક યાત્રા ફરી એકવાર સ્થગિત રાખવામાં આવી છે. એક્સિઓમ-4 મિશનનું લોન્ચિંગ આજે થવાનું હતું. લોન્ચ વ્હીકલમાં લીકેજ થવાને કારણે તેને ફરીથી મુલતવી રાખવામાં આવ્યું છે. ISROના વડા ડૉ. વી. નારાયણને X પર આ માહિતી આપી હતી.
નારાયણને જણાવ્યું હતું કે, પ્રથમ ભારતીય અવકાશયાત્રીને ISS પર મોકલવા માટે 11 જૂને લોન્ચ થવાનું Axiom-4 મિશન સ્થગિત રાખવામાં આવ્યું છે. ફાલ્કન 9 લોન્ચ વ્હીકલના બૂસ્ટર સ્ટેજના પ્રદર્શનને માન્ય કરવા માટે લોન્ચ વ્હીકલની તૈયારીના ભાગ રૂપે, લોન્ચ પેડ પર સાત-સેકન્ડનો હોટ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
પરીક્ષણ દરમિયાન 'પ્રોપલ્શન બે'માં લીકેજ જોવા મળ્યું હતું. એક્સિઓમ-4, સ્પેસએક્સના નિષ્ણાતો સાથે આ વિષય પર ચર્ચા કર્યા પછી, ઈસરોની ટીમે લીકેજને ઠીક કરવાનો અને લોન્ચિંગ માટે મંજૂરી આપતા પહેલા જરૂરી ચકાસણી પરીક્ષણો કરવાનો નિર્ણય લીધો હતો. તેથી પ્રથમ ભારતીય અવકાશયાત્રીને ISS મોકલવા માટે 11 જૂને યોજાનાર એક્સિઓમ-4નું લોન્ચિંગ સ્થગિત રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એક્સિઓમ-4 મિશન અગાઉ ત્રણ વખત સ્થગિત રાખવામાં આવ્યું છે. અવકાશયાત્રીઓ 29 મેના રોજ રવાના થવાના હતા, પરંતુ તે 8 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. આ પછી, તે 10 જૂન સુધી સ્થગિત રાખવામાં આવ્યું હતું. સ્પેસએક્સનું ફાલ્કન-9 રોકેટ મંગળવારે સાંજે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે તેને એક દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું હતું.