દૂધની વધતી માંગ અને તેના આર્થિક લાભને કારણે પશુપાલન વ્યવસાયમાં વધારો
- 12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજનાનો મળી સફળતા
- વર્ષ 2023-24માં ગીર સોમનાથના 39 પશુપાલકોને રૂ. 42.19 લાખ સહાય ચુકવાઈ,
- પશુપાલકોને બેંક ધિરાણ પર પાંચ વર્ષ સુધી વ્યાજ સહાય મળે છે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષોથી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય રહ્યા છે. સમયાંતરે દૂધની વધતી જતી માંગ અને તેના વેચાણ દ્વારા મળતા આર્થિક લાભને કારણે આજે પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે.
વધુ માહિતી આપતા મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો પશુપાલન વ્યવસાય થકી મહત્તમ આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકારે વર્ષ 2018-19થી 12“ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના” અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ વર્ષ 2023-24 દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના 39 પશુપાલકોને કુલ રૂ. 42.19 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી.
આ યોજના હેઠળ પશુપાલકોને 12 દૂધાળા પશુની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર પાંચ વર્ષ સુધી વ્યાજ સહાય, ડેરી ફાર્મ સ્થાપનાના પહેલા ત્રણ વર્ષના પશુ વિમાના પ્રિમિયમ પર સહાય, કેટલ શેડ બાંધકામ પર સહાય, ઇલેકટ્રીક ચાફકટર, મીલ્કીંગ મશીન અને ફોગર સીસ્ટમ ખરીદી પર સહાય આપવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.