ગુજરાતમાં 15 સ્થળોએ આવકવેરાના દરોડા, TDS અને કર માફીનો લાભ લેનારા સામે કાર્યવાહી
- ITR ફાઈલમાં ખોટી માહિતી જાહેર કર્યાનો ઘટસ્ફોટ,
- TDS મેળવવા અને ખોટી રીતે કર માફીના લાભ મેળવાતો હતો,
- ખોટા ITR ફાઈલ કરનારા તમામને ITR રીવાઈઝ રીટર્ન ફાઈલ કરવા માટે તાકીદ
અમદાવાદઃ કરદાતાઓ ઘણીવાર ટેક્સ બચાવવા માટે ફેક દસ્તાવેજો રજૂ કરીને ટેક્સ બેનિફિટ મેળવી લેતા હોય છે. તેમજ ખોટી રીતે TDS મેળવવા અને ખોટી રીતે કર માફીના લાભ મેળવતા હોય છે. કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટ પણ કરદાતાને ટેક્સ બચાવવા માટે ખોટી સલાહ આપતા હોય છે. ત્યારે આઈટી વિભાગ દ્વારા રિટર્ન માટે અરજીઓ સ્ક્રીટીની કર્યા બાદ ગુજરાતમાં કુલ 15 સ્થળોએ એકસાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. ખોટા ITR ફાઈલ કરનારા તમામને ITR રીવાઈઝ રીટર્ન ફાઈલ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. આ દરોડાનો વેપારીઓમાં ભારે ચકચાર મચી ગઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ખોટી રીતે TDS મેળવવા અને ખોટી રીતે કર માફીના લાભ મેળવતા હોવાની હકીકતને ધ્યાનમાં લઈને આવકવેરા વિભાગે અમદાવાદમાં 3, સુરતમાં 4, અંકલેશ્વરમાં 1, વાપી 1, પાટણમાં 2, ભરૂચમાં 1, રાજકોટમાં 1, ગોંડલમાં 1, ધોરાજી અને મહિસાગરમાં મળીને કુલ 15 જગ્યાએ સાગમટે દરોડા પાડયા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ પ્રેક્ટીશનર્સ મારફતે ઈન્કમટેક્સ રિટર્ન (ITR)માં ખોટી માહિતી જાહેર કરીને ઈન્કમટેક્સની જોગવાઈનો દુરપયોગ કરીને કરકપાત માટે જંગી રકમનો ક્લેઈમ કરનારા અને કર માફીનો ગેરલાભ લેનારાની વિગતો એકત્રિત કરીને આવકવેરા વિભાગે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ વ્યાપક દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારે ખોટા ITR ફાઈલ કરનારા તમામને ITR રીવાઈઝ રીટર્ન ફાઈલ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.