રાજકોટમાં ચગડોળ એપરેટર રાઈડ બંધ કરીને જતો રહ્યો અને લોકો હવામાં લડકતા રહ્યા
- રાજકોટમાં અટલ સરોવર ખાતે પાલિકા સંચાલિત રાઈડમાં બન્યો બનાવ,
- લોકો રાઈડમાં બેઠા હતા અને 100 ફુંટ ઊંચાઈએ રાઈડ બંધ કરી દીધી,
- ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવીને લોકોને રાઈડમાંથી નીચે ઉતાર્યા
રાજકોટઃ શહેરમાં અટલ સરોવર નજીક મ્યુનિ. સંચાલિત રાઈડ્સમાં બેસીને લોકો મોજ માણી રહ્યા હતા ત્યારે રાઈડનો ઓપરેટર રાઈડ બંધ કરીને જતો રહ્યો હતો. આથી રાઈડ બંધ થતાં લોકો રાઈડમાં અધવચ્ચે લટકી રહ્યા હતા. અને નીચે ઉતારવા માટે બુમો પાડવા લાગ્યા હતા. દરમિયાન આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર જવાનોએ ઘટના સ્થળે પહોંચીને રાઈડમાંથી તમામ લોકોને સહી સલામત ઉતાર્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેરમાં અટલ સરોવર નજીક આવેલી રાઈડ્સમાં લોકો બેઠા હતા ત્યારે ઓપરેટરે અચાનક 100 ફૂટની ઊંચાઈએ ચકડોળ બંધ કરી દીધું હતું અને ત્યાંથી જતો રહ્યો હતો. આ ગંભીર લાપરવાહીને કારણે રાઈડમાં બેઠેલા 5 થી 6 લોકો આશરે 20 મિનિટ સુધી 100 ફૂટની ઊંચાઈએ હવામાં લટકી રહ્યા હતા. અધવચ્ચે અટવાઈ ગયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ મ્યુનિના સંચાલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેતા જવાબદાર ઓપરેટરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. જોકે, માત્ર ઓપરેટરને છૂટો કરવાથી સમસ્યાનો હલ આવશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. હાલ શહેરીજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે રાઈડ્સનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા કેવા કડક પગલાં લેવામાં આવશે? શું લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનારી એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.