અમદાવાદમાં 50 બાંગ્લાદેશી ઘૂંસણખોરોને પકડીને 16 શખસોને ડિપોર્ટ કરાયા
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ ઘૂંસણખોરો સામે કરી કાર્યવાહી
- કેટલાક બાંગ્લાદેશી શખસોએ નકલી દસ્તાવેજો પણ બનાવી દીધા હતા
- ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આપી માહિતી
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક મહાનગરોમાં બાગ્લાદેશીઓ ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. કેટલાક બાગ્લાદેશીઓએ એજન્ટોની મદદથી આધારકાર્ડ સહિતના દસ્તાવેજો પણ તૈયાર કરી દીધા છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની અટકાયત કરી હતી. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક બાળકને સફળતાપૂર્વક બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે રીતે વસવાટ કરતાં 50 બાંગ્લાદેશી લોકોની ધરપકડ કરી હતી. તેમાંથી 16 જેટલાને લોકોને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે. જેમાં એક સગીર સામેલ હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરનારાઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે કેટલાક બાંગ્વાદેશીઓને નકલી ભારતીય દસ્તાવેજો સાથે પકડી પાડ્યા હતા. આ લોકો પર સગીરાઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાનો પણ આરોપ હતો. જોકે હવે બાકીના અન્ય ગેરકાયદે ઘૂણસખોરોને પણ તેમના દેશને સોંપી દેવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
સૂત્રોના કહેવા મુજબ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા 50માંથી લગભગ તમામ લોકો બાંગ્લાદેશી હોઈ શકે છે. જેમાં મોટાભાગના લોકો ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણકારી આપવામાં આવી છે. હર્ષ સંઘવીએ X પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્ર વિરોધી ગતિવિધિ કરનારાને ઝડપી લેવામાં આવ્યા છે.