રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી શિક્ષકો ઉપરાંત 12 કેડરના કર્મચારીઓને આપી શકાશે
- ત્રણ વર્ષથી વધુ સમયથી BLOની કામગીરી કરતા કર્મચારીઓને મુક્તિ આપવાનો આદેશ,
- BLOની કામગીરી 12 જેટલી કેડરોને આપવાનો રાજ્યના ચૂંટણી પંચનો નિર્ણય,
- નગરપાલિકાનો વેરો વસુલતા કર્મચારીઓને પણ વસતી ગણતરીની કામગીરી સોંપાશે
ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવતી હોવાથી છેલ્લા ઘમા સમયથી વિરોધ ઊઠી રહ્યો છે. ખાસ કરીને ચૂંટણી, મતગણતરી, અને મતદાર યાદી સુધારણા સહિતની કામગારી શિક્ષકોને સોંપવામાં આવતી હોય છે. તેના લીધે શિક્ષણ પર અસર પડતી હતી હાલ મતદાર યાદી સુધારણાની કામગીરી માત્રને માત્ર શિક્ષકોની પાસે જ કરાવવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ હવે બીએલઓની કામગીરી શિક્ષકો ઉપરાંત આંગણવાડી કાર્યકરો, તલાટી, પંચાયત સચિવ, ગ્રામ્ય સ્તરના કામદારો, વીજબીલ રીડર્સ, ટપાલી, આરોગ્ય કાર્યકરો, મધ્યાહન ભોજનના કાર્યકરો, મનપા વિસ્તારના ટેક્ષ કલેક્ટ કરતા કર્મચારીઓ સહિતની 12 કેડરો પાસે કરાવી શકાશે. ઉપરાંત ત્રણ વર્ષથી વધુ સમયથી બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓને કામગીરીમાંથી મુક્તિ આપવાનો આદેશ પણ કરાયો છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીમાં સુધારો કરવાની કામગીરી સમયાંતરે કરાવવામાં આવે છે. જોકે મતદારયાદી સુધારણાની કામગીરીમાં નવા ચૂંટણી કાર્ડ કઢાવવા, નામ, સરનામું, અટક, ફોટો બદલાવવો સહિતની કામગીરીનો સમાવેશ કરાયો છે. બીએલઓની કામગીરી શિક્ષકો સિવાય અન્ય 12 જેટલી કેડરોને આપવાનો રાજ્યના ચૂંટણી પંચે આદેશ કર્યો છે. તેમ છતાં તેની અમલવારી નહી કરીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બીએલઓની કામગીરી બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોને જ આપવામાં આવી રહી છે. ત્યારે બીએલઓની કામગીરી શિક્ષકો દ્વારા કરવાથી તેની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર પડતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે શિક્ષકોને બીએલઓની કામગીરી નહીં સોંપવા માટે શિક્ષકોએ કરેલી રજુઆતને અંતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બીએલઓની કામગીરી શિક્ષક ઉપરાંત અન્ય 12 કેડરોને સોંપવાનો આદેશ કર્યો છે.
રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોના કહેવા મુજબ મતદાર યાદી સુધારણામાં બીએલઓની કામગીરી તલાટી, પંચાયત સચિવ, આંગણવાડી કાર્યકરો, ગ્રામ્ય સ્તરના કર્મચારીઓ, વીજબીલ રીડર્સ કરતા કર્મચારીઓ, પોસ્ટમેન, સહાયક નર્સ અને મીડ વાઇફ, આરોગ્ય કાર્મચારીઓ, મધ્યાહન ભોજનના કર્મચારીઓ, કરાર આધારીત શિક્ષકો, કોર્પોરેશન કે નગરપાલિકાનો વેરો વસુલતા કર્મચારીઓ, શહેરી વિસ્તાર સ્તામંડળના કારકુની સ્ટાફ સહિતને કામગીરી સોંપવાનો આદેશમાં કરવામાં આવ્યો છે. તેમ છતાં જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તેની અમલવારી કરવામાં આવતી નથી. વધુમાં છેલ્લા ત્રણ વર્ષથી બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાનો રાજ્ય ચૂંટણી પંચના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.