અમદાવાદના વિસત સર્કલથી ઝૂંડાલ સર્કલ સુધી ઓઈકોનિક રોડ બનાવાશે
- સાડાત્રણ કિમીના આઈકોનિક રોડ પાછળ 79 કરોડ ખર્ચાશે,
- રોડ સાઈડ પર આકર્ષક ફુટપાથ પણ બનાવાશે,
- આકર્ષક સ્ટ્રીટ લાઈટ્સથી રોડ ઝળહળી ઊઠશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.દ્વારા વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીના 3.5 કિલોમીટરના રોડને આઈકોનિક રોડ બનાવાશે. આ માટે 79.80 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. આઈકોનિક રોડની બંને બાજુ સાઇકલ ટ્રેક, 5 મીટર પહોળો સર્વિસ રોડ, અને આકર્ષક સ્ટ્રીટ લાઈટ લગાવાશે, 60 મીટર પહોળા આ રોડ પર બીઆરટીએસ કોરિડોરની બંને બાજુ નવેસરથી 6 લેનનો રોડ બનાવાશે.
શહેરમાં વિસત સર્કલથી ઝૂંડાલ સર્કલ સુધીનો સાડા ત્રણ કિમીનો રોડ 79.80 કરોડના ખર્ચે આઈકોનિક બનાવાશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ કામના ટેન્ડરને મંજુરી આપી દેવામાં આવી છે, આઈકોનિક રોડ બન્ને બાજુ સિક્સલેનનો બનાવાશે.અહીં એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીના આઈકોનિક રોડની જેમ ઓન સ્ટ્રીટ પાર્કિંગ, મનોરંજન પ્રવૃત્તિ, સાઈકલ ટ્રેક, પ્લાન્ટેશન સાથેનો 2 મીટરનો ગ્રીન વોક-વે બનાવાશે. આ માટે પ્રતિ મીટર રસ્તો નિર્માણનો ખર્ચ રૂ.2.27 લાખ થશે.
શહેરના ઝુંડાલથી વિસત સુધીના માર્ગને આઇકોનિક બનાવવા મગાવેલા ટેન્ડરમાં એક કંપનીએ 31.40 ટકા વધુ વેલ્યુએશન કર્યું હતું. જેમાં 0.41નો ઘટાડો કરી 31 ટકા ઊંચા ટેન્ડરને મંજૂર રાખ્યું છે. 3.5 કિ.મીના રસ્તો બનાવવા આટલી મોટા ખર્ચને જસ્ટીફાઇ કરતાં અધિકારીઓએ નોંધ્યું કે, 100 કિમી વિસ્તારમાંથી ક્વોરીમાંથી ગુણવત્તાયુક્ત મટીરિયલ લવાશે. તંત્રએ દાવો કર્યો છે કે, રસ્તા સિવાય ફૂટપાથ, ગાર્ડન, સ્ટ્રીટ, આરસીસી પ્રિકાસ્ટની કામગીરીનો ખર્ચ વધુ થાય તેમ છે.