કેન્દ્રિય બજેટમાં ગુજરાતના ઉદ્યોગોને કેટલો ફાયદો, મિશ્ર પ્રતિભાવો
• હીરા ઉદ્યોગકારોએ બજેટને લઈ નિરાશા વ્યક્ત કરી
• GCCIએ આવકાર આપીને બજેટને 'સકારાત્મક ગણાવ્યું
• MSME માટે કરવામાં આવેલી જોગવાઈઓથી નાના ઉદ્યોગોને લાભ થશે
અમદાવાદઃ દેશના નાણા મંત્રી સીતારમણે આજે સંસદમાં વર્ષ 2026-17નું બજેટ રજુ કર્યું હતું. ગુજરાતના વેપાર ઉદ્યોગકારોની નજર બડેટ પર હતી. બજેટથી વેપાર-ઉદ્યોગને કેટલો લાભ થશે તે વેપારીઓ મીટ માંડીને બેઠા હતા. બજેટમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા છે. રાજ્યના મહત્વના ગણાતા, ટેક્સટાઈલ, ડાયમંડ, MSME સહિતના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી છે. ટેક્સટાઈલ ઉદ્યોગને લઈ મહત્વની જાહેરાત કરાતા ઉદ્યોગકારોને મોટી આશા જાગી છે. જો કે, ડાયમંડ ઉદ્યોગકારોએ બજેટને નિરાશાજનક ગાણાવ્યું હતુ. વ્યાપક મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગ માટે કોઈ મોટી જાહેરાત ન થતા ઉદ્યોગકારો નિરાશ જોવા મળ્યા હતા. જ્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝએ બજેટને સકારાત્મક ગણાવ્યું છે.
રાજકોટ જેમ્સ એન્ડ જવેલર્સ એસોસિએશનના કહેવા મુજબ લોકસભામાં આજે નાણામંત્રીએ રજૂ કરેલું બજેટ ખરેખર ખૂબ જ સારું છે. જોકે સુવર્ણ ઉધોગકારો દ્વારા લાંબા સમયથી ડ્યુટીમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી રહી છે. પણ બજેટમાં તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ગત બજેટમાં 6% ડ્યુટી હતી. જેમાં આ વખતે વધારો-ઘટાડો કરવામાં આવ્યો નથી. જવેલર્સની માંગ હતી કે, સોનાની આયાત ગાંધીનગરનાં ગિફ્ટસિટી દ્વારા કરવામાં આવે તો આ ક્ષેત્ર ઓર્ગેનાઇઝડ બની શકે છે. તેમજ હાલ સોના ચાંદીનાં ભાવો આસમાને હોવાથી તેમાં ઇએમઆઈની છૂટ આપવી જરૂરી છે. ભારત દેશ ખેતીપ્રધાનની સાથે સુવર્ણ ઉદ્યોગમાં પણ મોખરે છે. ત્યારે વધુ લોકો સોનાની ખરીદી કરી શકે તે માટે ઇએમઆઈ માટેની છુટ આગામી બજેટમાં આપવામાં આવે તેવી માગ હતી. ઓવરઓલ જોઈએ તો આ બજેટ ખરેખર ખૂબ જ સારું કહી શકાય તેમ છે. MSME માટે કરવામાં આવેલી જોગવાઈઓથી નાના ઉદ્યોગોને લાભ થશે
ગુજરાત ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રણવ પટેલે બજેટના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, બધા જ સેક્ટરમાં ગ્રોથ છે, જેમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં ખૂબ જ મજબૂત બનાવી છે. આ બજેટમાં એમએસએમઇના ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવર લિમિટ જે કરવામાં આવી છે જે અનુસંધાને ઘણી બધી કંપનીઓ આમાં આવશે અને જેના કારણે ઘણો ફાયદો થશે. જે કંપનીઓ આ સેક્ટરમાં લિમિટની બહાર હતી તે હવે આમાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, ડેવલોપમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે આઇઆઇટીમાં 6500 જેટલા વિદ્યાર્થીઓ જશે, ત્યારે તેઓ બહાર આવશે ત્યારે ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટો ફાયદો થશે. આ સાથે સ્ટાર્ટ અપનો બેનિફિટ વર્ષ 2030 સુધી વધારવામાં આવ્યો છે જેના કારણે નવી ઇન્ડસ્ટ્રીઝ આવશે અને તેનો બેનિફિટ થશે.
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના રિજીયોનલ સભ્યએ જણાવ્યું કે, બજેટમાં ડાયમંડ અને ગોલ્ડ માટે કોઈ છૂટછાટ જાહેર કરવામાં આવી નથી. ગોલ્ડ માટે કસ્ટમ ડ્યુટી 6% કરવા રજૂઆત કરી હતી, પણ તેમાં પણ કોઈ ફેરફાર થયો નથી. આમદની કર (Income Tax) સ્લેબમાં મોટો ફેરફાર કરાતા સામાન્ય વર્ગને ફાયદો થશે. હાલ હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદી છે, અને બજેટમાંથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કોઈ ખાસ લાભ મળ્યો નથી. હીરા ઉદ્યોગ માટે પેકેજ રજૂ કરવામાં આવે તે માટે અમે ફરી રજૂઆત કરીશું. ગોલ્ડ ઉદ્યોગમાં કસ્ટમ ડ્યુટી ઓછી કરાઈ હોત તો સ્મગલિંગ ઘટત. કેપિટલ ગેઈન ટેક્સ દૂર કરાયો હોત તો સામાન્ય વર્ગને વધુ ફાયદો થાત.
સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત સપોર્ટ મળશે. કોટન ઉદ્યોગ માટે ખેડૂતોને રાહત આપવાની જાહેરાતથી કોટન ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે. ટેકનિકલ ટેક્સટાઇલ અને ગૃહ ઉદ્યોગ-લઘુ ઉદ્યોગ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. લુમ્સ અને હેવી ઇન્ડસ્ટ્રીમાં મશીનો માટે 'મેક ઇન ઇન્ડિયા' ને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. કોટન ઉદ્યોગને પ્રોત્સાહન માટે વિવિધ જાહેરાતો કરવામાં આવી છે. નવા ટેક્સટાઇલ પોલિસીથી ઉદ્યોગની સ્થિતિ સુધરશે અને વિદેશી કાપડ પર અંકુશ લાગશે.