હોળી સ્પેશિયલ ટ્રેનો 2021-22માં 241 થી વધીને 2024-25માં 1,107 થઈઃ અશ્વિની વૈષ્ણવ
નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભાને સંબોધન કર્યું હતું. તેમણે ભારતીય રેલવેનાં વિવિધ પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં માળખાગત વિકાસ, સમયપાલન, પર્યાવરણની સ્થિરતા, નિકાસ, રોજગારી અને નાણાકીય સ્થિતિ સામેલ છે. તેમણે ભારતીય રેલવેને આધુનિક, કાર્યદક્ષ અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા બનાવવાની સરકારની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી, જેમાં મુસાફરોનો અનુભવ અને આર્થિક વૃદ્ધિ એમ બંનેમાં વધારો થયો છે.
કેન્દ્રીય રેલવે મંત્રીએ લોકસભામાં ટ્રેનોના સંચાલનના નિયમિતતા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ અદ્યતન સિગ્નલિંગ સિસ્ટમ, રિયલ-ટાઇમ મોનિટરિંગ, એઆઇ-સંચાલિત શેડ્યૂલિંગ અને આગાહી જાળવણીનો સ્વીકાર કરીને 90 ટકાથી વધુની ઓન-ટાઇમ કામગીરી હાંસલ કરી છે. મંત્રીએ જણાવ્યું હતું કે, 68 રેલવે ડિવિઝનમાંથી 49 ડિવિઝન 80 ટકા સમયના પાલનને વટાવી ચૂક્યા છે, જ્યારે 12 ડિવિઝન પ્રભાવશાળી રીતે 95 ટકા સુધી પહોંચી ગયા છે. આ વધેલી કાર્યક્ષમતાને પરિણામે ટ્રેનનું સંચાલન સરળ બન્યું છે, જેનાથી મુસાફરો અને નૂર સેવાઓ બંનેને લાભ થયો છે. હાલમાં, ભારતીય રેલવે 13,000થી વધુ પેસેન્જર ટ્રેનોનું સંચાલન કરે છે. જેમાં 4,111 મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો, 3,313 પેસેન્જર ટ્રેનો અને 5,774 ઉપનગરીય ટ્રેનોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સંચાલનમાં રહેલી ટ્રેનોની કુલ સંખ્યા હવે પ્રી-કોવિડ સ્તરને વટાવી ગઈ છે, જે રેલવેની વિશ્વસનીયતા અને સુધારેલી સેવા વિતરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
તહેવારોની ટોચની મોસમમાં મુસાફરોની માગનું વ્યવસ્થાપન કરવા માટે ભારતીય રેલવેએ વિક્રમી સંખ્યામાં વિશેષ ટ્રેનોનું સંચાલન કર્યું છે. ગયા વર્ષે, હોળી દરમિયાન, મુસાફરોમાં ઉછાળાને સમાવવા માટે 604 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી. ઉનાળુ વેકેશનના સમયગાળા દરમિયાન, સરળ મુસાફરીની સુવિધા માટે લગભગ 13,000 વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. એ જ રીતે છઠ અને દિવાળી માટે 8,000 વિશેષ ટ્રેનો તૈનાત કરવામાં આવી હતી. મહાકુંભ દરમિયાન એક નોંધપાત્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે અવિરત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે 17,330 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ વર્ષે, ફક્ત હોળી માટે, 1,107 વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે મુસાફરોની સુવિધા અને કાર્યક્ષમ મુસાફરી વ્યવસ્થાપન પ્રત્યે ભારતીય રેલવેની અવિરત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
રેલવે નેટવર્ક પર ઐતિહાસિક માળખાગત વિસ્તરણ વિશે વાત કરતાં મંત્રીએ લાંબા સમયથી ચાલી આવતા પ્રોજેક્ટ્સની પૂર્તિ પર ભાર મૂક્યો હતો. જેમ કે જમ્મુને શ્રીનગર સાથે આંજી અને ચિનાબ પુલ જેવા એન્જિનિયરિંગ અજાયબીઓ મારફતે જોડવું, જે એફિલ ટાવરથી 35 મીટર ઊંચું છે. સીઆરએસનું નિરીક્ષણ પૂર્ણ થવાની સાથે અને ભલામણોના અમલીકરણ સાથે, જમ્મુ અને શ્રીનગર વચ્ચે ટૂંક સમયમાં ટ્રેન સેવાઓ શરૂ થશે. તેમણે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના પરિવર્તન પર પણ ભાર મૂક્યો હતો, જે વર્તમાન સરકાર હેઠળ ઓપરેશનલ રિયાલિટીમાં માત્ર એક દરખાસ્તથી આગળ વધ્યો છે. આજે, દરરોજ 350 માલવાહક ટ્રેનો દોડે છે, જે પરિવહન સમયને 24 થી ઘટાડીને માત્ર 12 કલાક કરે છે, જે લોજિસ્ટિક્સમાં નોંધપાત્ર સુધારો કરે છે. ગતિ શક્તિ પહેલે નૂર કામગીરીને વધુ વેગ આપ્યો છે, જેમાં 97 કાર્ગો ટર્મિનલ્સ પૂર્ણ થયા છે અને 257 વધુ વિકાસ હેઠળ છે. વર્ષ 2014થી અત્યાર સુધીમાં રેલવે નેટવર્કમાં ટનલ નિર્માણમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે. જેમાં 460 કિલોમીટરની નવી ટનલનું નિર્માણ થયું છે અને હિમાલયન ટનલિંગ મેથડ અને તમિલનાડુમાં ટનલ બોરિંગ મશીન્સ (ટીબીએમએસ)નું સ્થાનિક ઉત્પાદન જેવી નવીનતાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજીમાં ભારતની વધતી જતી સ્વનિર્ભરતાને પ્રદર્શિત કરે છે.
મંત્રીએ વિશ્વના સૌથી મોટા સ્ટેશન પુનર્વિકાસ કાર્યક્રમના ભાગરૂપે 129 સ્ટેશનો પૂર્ણ થઈ ગયા છે અને 2025-26 સુધીમાં ઘણા વધુ કાર્યરત થઈ જશે તેવા રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ગંગા, બ્રહ્મપુત્રા અને કોસી જેવી મુખ્ય નદીઓ પર પુલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનાથી મુખ્ય વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં સુધારો થયો છે. પૂર્વોત્તરમાં અભૂતપૂર્વ રેલ વિસ્તરણ જોવા મળ્યું છે, જેમાં સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં નવી લાઇનો લાગી છે. ભારતીય રેલવેએ પણ વિસ્તૃત સુધારાત્મક પગલાં દ્વારા અંડરપાસમાં પાણી ભરાવાના નિવારણ માટે પગલાં લીધાં છે. શ્રી વૈષ્ણવે પ્રધાનમંત્રીના 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના વિઝનને અનુરૂપ તમામ રાજ્યો માટે બજેટની વિક્રમી ફાળવણી પર ભાર મૂકીને સમાન વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. જો કે, તેમણે કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ધીમી જમીન સંપાદન જેવા પડકારો તરફ ધ્યાન દોર્યું હતું, જે પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે. તેમણે કોલકાતા મેટ્રોનાં નોંધપાત્ર વિસ્તરણ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જ્યાં છેલ્લાં 42 વર્ષમાં 28 કિલોમીટરની મેટ્રો લાઇનની સરખામણીમાં ફક્ત એક દાયકામાં 38 કિલોમીટરની મેટ્રો લાઇનનો ઉમેરો થયો છે. તેમણે મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પણ ભાર મૂક્યો હતો, જે આધુનિક, હાઈ-સ્પીડ રેલ કનેક્ટિવિટી તરફનું પરિવર્તનકારી પગલું છે, જે ભવિષ્યની પેઢીઓ માટે વૈશ્વિક કક્ષાનું માળખું સુનિશ્ચિત કરે છે.
પર્યાવરણીય સ્થિરતા માટે સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ, ભારતીય રેલવેએ 2025 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન (સ્કોપ 1) હાંસલ કરવાના તેના મહત્વાકાંક્ષી લક્ષ્ય સાથે પર્યાવરણીય સ્થિરતા તરફ કેટલીક પહેલ કરી છે. શ્રી અશ્વિની વૈષ્ણવે ઇલેક્ટ્રિફિકેશન, વનીકરણ અને મોડલ શિફ્ટ વ્યૂહરચનાઓ મારફતે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાની સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ભારતીય રેલવે માટે નેટ ઝીરોનો અર્થ એ થાય છે કે રેલવે ટ્રેક્શન, નોન-ટ્રેક્શન ઑપરેશન્સ, વાહનોના કાફલાઓ અને રેલવે કોલોનીઓ અને હૉસ્પિટલો જેવાં માળખાગત સુવિધાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્બન ઉત્સર્જનને સરભર કરવું અથવા નાબૂદ કરવું. આ દિશામાં એક મોટું પગલું ડીઝલથી ઇલેક્ટ્રિક ટ્રેક્શનમાં સંક્રમણ છે, જેમાં 97 ટકા રેલવે કામગીરીઓ પહેલેથી જ વિદ્યુતીકૃત થઈ ચૂકી છે અને બાકીની 3 ટકા કામગીરી પૂર્ણ થવાના આરે છે.
આ ધ્યેયને વધુ ટેકો આપવા માટે, ભારતીય રેલવેએ મોટા પાયે વનીકરણના પ્રયત્નો હાથ ધર્યા છે, 2014-15 અને 2023-24 ની વચ્ચે 9 કરોડ વૃક્ષોનું વાવેતર કર્યું છે, જે વાર્ષિક 5 લાખ ટન કાર્બન ઉત્સર્જનને સરભર કરવામાં ફાળો આપે છે. આ ઉપરાંત, માર્ગથી રેલવે નૂર તરફ સ્થળાંતરને કારણે 2021-22 અને 2023-24 ની વચ્ચે ઉત્સર્જનમાં 17 લાખ ટનનો ઘટાડો થયો છે. વર્ષ 2024-25 માટે અંદાજિત ઉત્સર્જન 20 લાખ ટન રહેવાનો અંદાજ છે અને ઉપલબ્ધ ઓફસેટ 22 લાખ ટન સુધી પહોંચવાનો અંદાજ છે, ત્યારે ભારતીય રેલવે નિર્ધારિત સમય કરતાં વહેલા તેના નેટ ઝીરો લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સારી સ્થિતિમાં છે. પ્રત્યક્ષ ઉત્સર્જન ઉપરાંત, રેલવે બિન-અશ્મિભૂત ઇંધણ-આધારિત ઊર્જા સ્ત્રોતો તરફ પણ વળી રહી છે, જે પરોક્ષ ઉત્સર્જનમાં વધુ ઘટાડો કરી રહી છે. ભારતના હરિયાળા પરિવહન ક્ષેત્રમાં સૌથી મોટો ફાળો આપનાર તરીકે ભારતીય રેલવે સડક પરિવહન માટે માત્ર ઓછા-કાર્બનનો વિકલ્પ જ પૂરો પાડતી નથી, પરંતુ ટકાઉ ઊર્જા સ્રોતો તરફના સંક્રમણને પણ આગળ ધપાવી રહી છે, જે પર્યાવરણીય ટકાઉપણા ભણીની દેશની સફરમાં એક નેતા તરીકેની તેની ભૂમિકાને પ્રતિપાદિત કરે છે.