અમદાવાદની ન્યુ તુલિપ સ્કૂલની માન્યતાના મુદ્દે હાઈકોર્ટે સુનાવણી ‘નોટ બીફોર મી’ કરી
અમદાવાદઃ શહેરની ધી ન્યુ તુલિપ ઈન્ટરનેશનલ સ્કૂલ સહિતની સ્કૂલોની કથિત ગેરરીતિના મુદ્દે CBSEના માન્યતા રદ્દ કરવાના નિર્ણયને પડકારતી અરજીને હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઇની સિંગલ જજની બેંચે નોટ બિફોર મી કરી છે. જેથી હવે આ અરજી ઉપર સુનાવણી આગામી દિવસોમાં નવી બેંચ સમક્ષ હાથ ધરવામાં આવશે.
કેસની વિગતો એવી હતી કે, શહેરમાં આવેલી જાણીતી ધી ન્યૂ તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલની માન્યતા CBSEએ ઇન્સ્પેક્શન કર્યા બાદ રદ કરી દીધી હતી. CBSEના આ નિર્ણયને ગેરવાજબી અને અન્યાયી હોવાના દાવા સાથે સ્કૂલે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં CBSE દ્વારા ન્યૂ તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલના CBSE બોર્ડના વિધાર્થીઓને નજીકની શાળામાં ખસેડવાના નિર્ણયને હાલ પુરતો મોકૂફ રાખવાની બાહેંધરી આપવામાં આવી હતી. જોકે, આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટના ધ્યાને આવ્યું હતું કે, કોર્ટમાં ચાલતી ન્યાયિક કાર્યવાહીનું ખોટું અર્થઘટન કરીને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કોર્ટે આ અરજી ઉપર વધુ સુનાવણીનો ઇનકાર કરતા કેસ ‘નોટ બિફોર મી’ કર્યો હતો. જેથી હવે નવી બેન્ચ આગામી સમયમાં આ અરજી સાંભળશે.
ઉલ્લેખનીય છે કે, ન્યૂ તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલની માન્યતા રદ કરતા CBSE દ્વારા જુદા જુદા અવલોકનો ટાંકવામાં આવ્યા હતા. જેમાં શિક્ષકોની લાયકાત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનરોલમેન્ટ અનિયમિતતાઓ, બીજા બોર્ડ સાથે ચલાવવા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. જોકે, શાળાનું કહેવું છે કે, માત્ર એક દિવસના ઈન્સ્પેક્શન તે પણ અયોગ્ય સંજોગોને આધારે CBSE માન્યતા રદ કરી શકે નહીં. આ શાળાના અનેક વિદ્યાર્થીઓને અસર કરનાર નિર્ણય છે.