એમએસ યુનિ.માં ટુ-વ્હીલર પર આવતા અધ્યાપકો-કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત
- સ્કૂટરચાલક આસિ.પ્રોફેસરનું મોત થતા નિર્ણય લેવાયો,
- અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરાયો હતો પણ અમલ નહોતો કરાયો,
- દ્વીચક્રી વાહનો પર આવતા વિદ્યાર્થીઓને પણ હેલ્મેટ પહેરવા સમજાવાશે
વડોદરાઃ શહેરમાં બુધવારે ડમ્પરની અડફેટે સ્કૂટરચાલક મહિલા પ્રોફેસરનું મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ એમએસ યુનિવર્સિટી દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાતનો નિયમ બનાવ્યો છે. યુનિ.માં ટુ-વ્હીલર લઇને આવતા અધ્યાપકો-કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું પડશે. કોમર્સના આસિ.પ્રોફેસરનું અકસ્માતમાં મોત થતાં હેલ્મેટ પર ભાર અપાયો છે.
ગુજરાત સરકારે 4 મહિના પહેલા જ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ટુ-વ્હીલર લઇને આવતા અધ્યાપકો-કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કર્યું હતું. સરકારે પરિપત્ર કરીને યુનિવર્સિટી-કોલેજોને જાણ કરી હતી. છતાં એમએસ યુનિવર્સિટીમાં તેનો અમલ કરવામાં આવ્યો નથી. બુધવારે એમએસ .યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં 26 વર્ષીય આસિ. પ્રોફેસરનું વૃંદાવન ચોકડી પાસે અકસ્માતમાં મોત થયું હતું. સિમેન્ટ મિક્સરે તેમનું મોપેડ અડફેટે લેતા માથામાં ઈજા પહોંચતાં ઘટના સ્થળે મોત થયું હતું. ઘટના બાદ હવે એમએસ યુનિ.ના સત્તાધીશો દ્વારા આધ્યાપકો-કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને ફરજયાત હેલ્મેટ પહેરવા માટેનું સૂચન કર્યું છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરીને કેમ્પસમાં આવવા માટે સમજાવવામાં આવશે. દરેક ડીનને તાકીદ કરવામાં આવી છે તેમની ફેકલ્ટીમાં ફરજ બજાવતા આધ્યાપકો- કર્મચારીઓએ હેલ્મેટ પહેરીને આવે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે 4 મહિના પહેલા જ સરકારે પરિપત્ર કર્યો હતો જોકે એમએસ યુનિવર્સિટીમાં તેનો અમલ થયો નથી.