મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: 10 મોત, 11,800થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
પૂણેઃ મહારાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજ્યોમાં ફરીથી ભારે વરસાદ પડ્યો છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં પડેલા વરસાદમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં દસ લોકોના મોત થયા છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 11,800થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નાસિક જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ચાર લોકોના મૃત્યુ થયા છે, જેમાંથી ત્રણનો મોત ઘરો ધરાશાયી થવાના કારણે થયો છે. ધારાશિવ અને અહિલ્યાનગરમાં બે-બે અને જાલના અને યવતમાલમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.
મરાઠાવાડા વિસ્તારમાં ગોદાવરી નદી પર આવેલા જયકવાડી ડેમમાં પાણીનું સ્તર વધતા તમામ દરવાજા ખોલવા પડ્યા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી ગયો છે. હરસુલ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 196 મીમી વરસાદ નોંધાયો છે. બીડ, નાંદેડ અને પરભણી સહિત મરાઠાવાડાના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટમાં ખાસ કરીને મરાઠાવાડા અને નાસિક જિલ્લાના વસ્તીઓને ભારે વરસાદથી સાવધાન રહેવા જણાવ્યું છે. અધિકારીઓએ લોકોને નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે.