For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઉત્તર ભારતમાં ગરમી વધવાની શકયતા, હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં આપ્યું એલર્ટ

11:23 AM Apr 16, 2025 IST | revoi editor
ઉત્તર ભારતમાં ગરમી વધવાની શકયતા  હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં આપ્યું એલર્ટ
Advertisement

નવી દિલ્હીઃ હવામાન વિભાગ (IMD)એ ફરી એકવાર દેશના વિવિધ ભાગોમાં ગરમીનું મોજું અને કમોસમી વરસાદ, વાવાઝોડા, વીજળી અને કરા પડવાની ચેતવણીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસોમાં વિવિધ રાજ્યોમાં હવામાન બદલાવાની શક્યતા છે, જેના કારણે લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

Advertisement

IMDની આગાહી મુજબ, ગુજરાત, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ગરમીને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, રાજસ્થાનમાં 18 એપ્રિલ સુધી કાળઝાળ ગરમી પડશે. આગામી દિવસોમાં ધગધગતી ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આ દિવસોમાં લોકોને ઘરની બહાર ઓછું નીકળવાની અને પૂરતું પાણી પીવાની સલાહ આપી છે.

જ્યારે 16 થી 20 એપ્રિલ દરમિયાન પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં તીવ્ર પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે. 18 અને 19 એપ્રિલે તાપમાનમાં ફેરબદલ જોવા મળશે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે, 18 અને 19 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં કરા પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આ સમયગાળા દરમિયાન ભારે પવન અને વીજળી સાથે વરસાદની શક્યતા છે. 18 થી 20 એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન ફૂંકાઈ શકે છે.

Advertisement

દક્ષિણ ભારતમાં પણ હવામાનની પેટર્ન બદલતી જોવા મળશે. આગામી પાંચ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, તેલંગાણા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદ, વાવાઝોડા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેરળમાં આગામી ત્રણ દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ, વીજળીના કડાકા અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, ઋતુગત ફેરફારોને કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિક અને દૈનિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થઈ શકે છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ રહેશે. ખેડૂતોને તેમના પાકને બચાવવા માટે યોગ્ય પગલાં લેવાની પણ સલાહ આપવામાં આવી છે. કારણ કે કરા અને ભારે વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે.

Advertisement
Tags :
Advertisement