For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વકરે તે પહેલા જ તકેદારી માટે હેલ્થ વિભાગની બેઠક મળી

03:16 PM Jun 22, 2025 IST | revoi editor
ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વકરે તે પહેલા જ તકેદારી માટે હેલ્થ વિભાગની બેઠક મળી
Advertisement
  • મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સામે કામગીરી અસરકારક બનાવાશે,
  • બાંધકામ સાઈટ્સ પર મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા પગલાં લેવાશે,
  • શાળાઓના કેમ્પસમાં ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ સમયાંતરે કરાશે

ગાંધીનગરઃ  કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2030માં મેલેરિયા નિર્મૂલનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં ‘વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ હેઠળ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીને વધુ સઘન બનાવવા રૂરલ હેલ્થ કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મેલેરિયા નિર્મૂલનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા વિવિધ પગલાઓ વિશે સંબંધિત અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
રૂરલ હેલ્થ કમિશનર ગઢવીચારણે જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ અને નગરપાલિકાઓ હેઠળ સરકારી બાંધકામ પ્રગતિમાં હોય તેવા સ્થળોએ મચ્છરોની ઉત્પત્તિ ન થાય તે માટે જવાબદાર કોન્ટ્રાકટર મારફતે કામગીરી કરાવવી. વધુમાં, બાંધકામ ચાલુ હોય તે દરમિયાન પણ સમયાંતરે તેનો રિવ્યુ કરવો તેમજ મચ્છર ઉત્પત્તિ સ્થાનો અટકાવવા માટે સ્થાનિક પ્રતિનિધિઓનો સાથ સહકાર મેળવી કામગીરી કરવી. મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તારોમાં પેટા કાયદા અને બિલ્ડીંગ બાયલોઝનું ચુસ્ત અમલીકરણ થાય તે માટે તેમની કક્ષાએથી સુનિશ્ચિત કરાવવું.
વધુમાં, તેમણે કહ્યું કે, ઉદ્યોગ વિભાગ મારફતે જી.આઇ.ડી.સી. ઇન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટેટ વિસ્‍તારોમાં કોઇપણ પ્રકારના પાણીનો ભરાવો ન થાય અને ત્યાં કામ કરતા તમામ મજુરોની યાદી તૈયાર કરીને વાહકજન્‍ય રોગ અંતર્ગત તપાસણી થાય તેવી વ્યવસ્થા ગોઠવવી. શિક્ષણ વિભાગ મારફતે શાળામાં એક શિક્ષકની નોડ્લ તરીકે નિયુક્તિ કરવી. શાળાઓમાં 4 થી 5 વિદ્યાર્થીઓની એક ટીમ બનાવી તેઓ દ્વારા દર અઠવાડિએ સ્‍કૂલ કેમ્‍પસની ખુલ્‍લી જગ્‍યામાં ભરાયેલા પાણીમાં મચ્‍છર ઉત્પત્તિ અંગે ચકાસણી કરી તેને દુર કરવું.  શાળાઓમાં મેલેરિયા અને અન્‍ય વાહકજન્ય રોગોના સંદર્ભમાં નિબંધ વકૃત્વ સ્‍પર્ધાઓ યોજી તેમાં બાળકોને સહભાગી બનાવવા અનુરોધ કરાયો હતો.

Advertisement

આ ઉપરાંત તેમણે કહ્યું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ- આઇ.સી.ડી.એસ. મારફતે તમામ આંગણવાડી કેન્દ્રોમાં કોઇપણ જગ્યાએ મચ્છર ઉત્પત્તિ ન થાય તે માટે સાવચેતી અને તકેદારી રાખવી. આંગણવાડીના બાળકોમાં તાવનું પ્રમાણ જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરી લોહીની તપાસ કરાવવી. તેવી રીતે સિંચાઇ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ મારફતે મુખ્ય નહેર, પેટા નહેરો, સાયફન અને રેગ્યુલેટરી ચેમ્બરમાંથી પાણીનું લીકેજ થતું હોય તેવી તમામ જગ્યાએ લીકેજને કાયમી ધોરણે બંધ કરી મચ્છર ઉત્પત્તિ અટકાવવી જોઈએ.
આ બેઠકમાં અધિક નિયામક ડૉ. નિલમ પટેલ ઉપરાંત પંચાયત, આયુષ, નગરપાલિકા, ઉદ્યોગ, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, માહિતી અને પ્રસારણ, સિંચાઇ તથા પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement