હરિયાણાઃ ઘર કંકાસમાં પતિએ ચાર બાળકો સાથે ટ્રેન નીચે ઝંપલાવ્યું, પાંચના મોત
નવી દિલ્હીઃ હરિયાણાના બલ્લભગઢમાં એક પિતાએ ચાર બાળકો સાથે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. તેણે આપઘાત કરતા પહેલા બાળકોને ઠંડા પીણા અને ચિપ્સ પણ આપ્યા હતા. જ્યારે ટ્રેન આવી ત્યારે બાળકોએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે બાળકોના હાથમાં પકડી લીધા અને એકસાથે ટ્રેન સામે કૂદી પડ્યા હતા. આ બનાવમાં પાંચેયના મોત થયાનું જાણવા મળે છે. પત્ની સાથે કોઈ મુદ્દે ઝઘડો થતા પતિએ ચાર બાળકો સાથે આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
મળતી માહિતી અનુસાર, હરિયાણાના બલ્લભગઢ વિસ્તારમાં મૂળ બિહારના રહેવાસી 45 વર્ષીય મનોજ મહતોનો તેની પત્ની પ્રિયા સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ મનોજ મહતો બાળકોને પાર્કમાં લઈ જવાનું કહીને નીકળ્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર, મનોજ મહતો સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર ચાલતો જોવા મળ્યો હતો. તે બે બાળકોને ખભા પર લઈને બે બાળકોના હાથ પકડ્યાં હતા. લોકો પાયલોટ દૂરથી ઘણી વાર હોર્ન વગાડ્યો, પરંતુ તે પાટા પરથી ખસ્યો નહીં. જ્યારે બાળકો દોડવા લાગ્યા, ત્યારબાદ તેણે બાળકોના હાથમાં પકડી લીધા અને ટ્રેન નજીક આવતાની સાથે જ 10 વર્ષીય પવન, નવ વર્ષીય કારુ, પાંચ વર્ષીય મુરલી અને ત્રણ વર્ષીય છોટુ સાથે ટ્રેનની સામે કૂદી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને ટ્રેક પરથી દૂર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.