ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ હવે એનસીસીમાં ભાગ લઈ શકશે
- વિવિધ કોર્સમાં ભણતા 500 વિદ્યાર્થીઓ NSS સાથે જોડાયેલા છે,
- 105 વર્ષ બાદ વિદ્યાર્થીઓને એનસીસીમાં તાલીમનો અવસર મળશે,
- વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે જુલાઈથી તાલીમ કાર્યક્રમ શરૂ થશે
અમદાવાદઃ ગાંધીવાદી શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષોથી ચાલી આવતી પરંપરામાં સમય મુજબ પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે હવે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ એનસીસીમાં ભાગ લઈ શકે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમાં શિસ્ત, નેૃતૃત્વ અને દેશ ભક્તિ કેળવવી, જવાબદારી, સામાજિક સેવા, એકતાની ભાવના કેળવવી શકાશે. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને એનસીસીની તાલીમનો અવસર મળશે. એનસીસીની આ વિધિવત્ તાલીમનો જુલાઈથી પ્રારંભ થશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી અને ગાંધી વિચારોને વરેલી ગૂજરાત વિદ્યાપીઠના 105 વર્ષ બાદ સૌપ્રથમ વાર વિવિધ કોર્સના વિદ્યાર્થીઓને એનસીસીની તાલીમનો અવસર મળશે. એનસીસીની આ વિધિવત્ તાલીમનો જુલાઈથી પ્રારંભ થશે. હાલમાં ગૂજરાત વિદ્યાપીઠમાં વિવિધ કોર્સીસમાં ભણતા 500 વિદ્યાર્થીઓ એનએસએસ સાથે જોડાયેલા છે. વિવિધ પ્રકારના સ્નાતક કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એનસીસીના અધિકારીઓ દ્વારા દેશભક્તિ, શિસ્ત, સમાજ સેવા સહિતના પાસાઓની સઘન સ્પેશિયલ તાલીમ આપવામાં આવશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ભારતની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન દેશ માટે લડી શકે તેવા યુવા સ્વંયસેવકો તૈયાર કરવા માટે ગૂજરાત વિદ્યાપીઠની 18 ઓક્ટોબર 1920ના રોજ સ્થાપના કરી હતી. વર્તમાન સમય સંજોગોને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર ભારતમાં દેશની રક્ષા કાજે અથવા કોઈ પણ પ્રકારની કટોકટીની પળો વખતે દેશ માટે અડીખમ ઊભા રહીને લડત લડી શકે તેવા યુવાઓ તૈયાર કરવા માટે ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને એનસીસીની તાલીમ અપાશે. વિદ્યાપીઠમાં ગોલ્ડન જ્યુબિલી હોલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 6થી 12 જૂન દરમિયાન એનએસએસની તાલીમ શિબિર (નેશનલ ઈન્ટિગ્રેશન) કેમ્પ યોજવામાં આવી હતી, જેમાં દેશના 12 રાજ્યોના યુવાનોએ ભાગ લીધો હતો.