ગુજરાત સરકારનો નિર્ણય, હવે શાળા સહાયકોની ભરતી ખાનગી એજન્સીઓને સોંપાશે
- બીઍડની લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરાશે
- ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે
- નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના અપાશે.
અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકોની સરકાર દ્વારા કરાર આધારિત ભરતી કરવામાં આવતી હતી. પરંતુ હવે શિક્ષણ સહાયકોની ભરતીનું કામ ખાનગી એજન્સીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીઍડની લાયકાત ધરાવનારા શિક્ષક બની શકશે. જેમને 21 હજાર રૂપિયાનું માનદ મહેનતાણું આપવામાં આવશે.
શિક્ષણ વિભાગના નવા ઠરાવ મુજબ, પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની યોજના અંગેની નવી બાબતની વહિવટી મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે છે. આ સાથે વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરના જાણકાર માનવ બળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી 'શાળા સહાયક' આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. જેમાં લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામગીરી કરી શકે એવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે. નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોનવાઇઝ કે જિલ્લાવાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના અપાશે. આ કામગીરીમાં શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે. એજન્સી દ્વારા ફાળવવામાં આવેલાં ઉમેદવારોની વર્ષના અંતે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને તે ક્લસ્ટરના સીઆરસી (CRC) મારફતે સમીક્ષા કરવાની રહેશે. જો કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. રાજ્યની સરકારી પ્રાથમિક પગાર-કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે. છૂટા કરેલા શાળાસહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર-કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે. આ શિક્ષકોને 21,000 પગાર અને 11 માસ નો કરાર હશે.