ગુજરાત સરકારના અધિકારીઓને નાસ્તા અને ભોજનના ખર્ચમાં કરાયો વધારો
- સચિવકક્ષાના અધિકારીઓને આતિથ્ય ખર્ચમાં 150 ટકાનો વધારો
- ભોજન માટે હવે 100ને બદલે 250 રૂપિયા અપાશે
- નાના અધિકારીએને નાસ્તાના રૂપિયા 15ના બદલે હવે 35 રૂપિયા અપાશે
ગાંધીનગરઃ ગુજરાત સરકારના અધિકારીઓને પણ મોંઘવારી નડી રહી છે. સરકારી અધિકારીઓને ફુડ એલાઉન્સ અપાતુ હતું એમાં વર્ષોથી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ અંગેની રજુઆત મળતા રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ દ્વારા કરવામાં આવતા નાસ્તા અને ભોજનના ખર્ચમાં 150 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. સરકારના સચિવ કક્ષાના અધિકારીઓની નાસ્તા માટે વ્યક્તિગત ₹20 ની જગ્યાએ ₹50 રૂપિયાનો વધારો કરાયો છે, જ્યારે બપોરનું કે રાતનું ભોજન વ્યક્તિગત 100 રૂપિયાની જગ્યાએ 250 રૂપિયા કરાયા છે. વાર્ષિક 10,000 રૂપિયાની જગ્યાએ 25,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી અધિકારીઓને રાહત થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના અધિકારીઓને ફુડ એલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં સચિવ કક્ષાના અધિકારીઓ માટે આતિથ્ય ખર્ચમાં પણ 150 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નાયબ સચિવ કક્ષાના અધિકારીઓ માટે નાસ્તા માટે વ્યક્તિગત 15 રૂપિયાની જગ્યાએ 35 રૂપિયા કરાયા છે. નાયબ સચિવ કક્ષાના અધિકારીને ભોજન માટે ખર્ચની સત્તા નહીં. જ્યારે એડિશનલ કમિશનર કક્ષાના અધિકારી માટે આતિથ્ય વાર્ષિક ખર્ચ ₹5,000 માંથી વધારીને 12500 કરાયા છે. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની કક્ષાએ 15 રૂપિયાથી 35 રૂપિયા વ્યક્તિગત નાસ્તા માટેની ખર્ચની મર્યાદા વધારવામાં આવી છે. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બપોરનું કે રાત્રી ભોજન વ્યક્તિગત 75ની જગ્યાએ વધારી 180 રૂપિયા કરાયા છે. જિલ્લાના વડા કે ખાતાના વડા માટે નાસ્તાની 10 રૂપિયાની મર્યાદા વધારી 25 કરાઈ છે. જ્યારે મહેમાનગતિ ખર્ચની મર્યાદા 3,000 રૂપિયા થી વધારી 7500 રૂપિયા કરાઈ છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજ્ય સરકારના અધિકારીઓ ફુડ બિલ મેન્યુઅલમાં વધારો આપવાનો નિર્ણય કરાયો છે. જે વર્ષ 2025-26થી એટલે કે, તા. 01/04/2025થી લાગુ થશે. આ સત્તા મર્યાદા કરતા વધુ ખર્ચ ન થાય તે દરેક અધિકારીએ સુનિશ્ચિત કરવાનું રહેશે. જો કોઈ ખાસ કારણોને લીધે આ સત્તા મર્યાદા કરતા વધારે ખર્ચ થાય તો સત્તા મર્યાદાના 10% સુધી સુધીનો ખર્ચ સંબંધિત વિભાગના વડા, ખર્ચ વધારે થવાના કારણો ચકાસી મંજૂર કરી શકશે. નાણાકીય મર્યાદાઓનું પાલન થાય તે ખૂબ જ જરૂરી હોઇ ખર્ચ મર્યાદા કરતા વધારે ન થાય એ જોવાની જવાબદારી દરેક અધિકારીની રહેશે. આમ છતાં, કોઈ વિશિષ્ટ સંજોગોમાં ખર્ચ કરવાની સત્તા મર્યાદાના 10% કરતાં વધારે ખર્ચ થયેલ હોય તો વિભાગો દ્વારા અલગ અલગ ફાઇલ રજૂ ન કરતાં દર વર્ષે 15 એપ્રિલે આવા વધુ ખર્ચ થયેલ તમામ અધિકારીના કેસો એક જ ફાઇલ પર નાણા વિભાગને રજૂ કરવાના રહેશે. પરંતુ, તેમાં સત્તા મર્યાદા કરતા વધુ ખર્ચ થવાના ખાસ કારણોની દરેક અધિકારીવાઇઝ નોંધ કરી અને વિભાગના વડા દ્વારા પૂરતી ચકાસણી કયાં બાદ યોગ્ય લાગે તો જ નાણા વિભાગને રજૂ કરવાના રહેશે.