અમદાવાદ સહિત 6 શહેરોમાં પાન-મસાલા, તમાકુના વેપારીઓને ત્યાં GSTના દરોડા
- અમદાવાદ,વાપી, હિંમતનગર સહિત 20 સ્થળોએ સર્ચ
- બિન હિસાબી 5 કરોડની ચોરી પકડાઈ
- GSTના દરોડાથી પાન-મસાલા-તમાકુંના વેપારીઓમાં ફફડાટ
અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, વાપી, હિંમતનગર સહિત 6 શહેરોમાં જીએસટી વિભાગના અધિકારીઓએ પાન-મસાલા અને તમાકુના 8 વેપારીઓને ત્યાં 20 જેટલા સ્થળોએ દરોડા પાડીને બિન હિસાબી 5 કરોડની કરચોરી પકડી પાડી છે. જીએસટીના સર્ચને લીધે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો
અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે અને પાનમસાલા અને તમાકુના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીએસટી વિભાગના અધિકારીઓની આ તપાસ દરમિયાન 5 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી છે.
સ્ટેટ જીએસટી વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારેજીએસટી ના અધિકારીઓએ રાજ્યના અલગ અલગ શહેરોમાં દરોડા પાડ્યા હતા. ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત ખાતેના પાન મસાલા અને તમાકુના મેન્યુફેક્ચરીંગ યુનિટ, ગોડાઉન, ડિસ્ટ્રીબ્યુટર્સ તેમજ છૂટક વેચાણ કરતા વેપારીઓને આવરી લઈ સમગ્ર સપ્લાય ચેઈનને સમાવી લઈ વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ તપાસ અભિયાનમાં અમદાવાદ, વાપી, વલસાડ, પાલનપુર, ડીસા, હિંમતનગર તેમજ સતલાસણા ખાતેના 8 વેપારીઓ સાથે સંકળાયેલા કુલ 20 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રોકડના વ્યવહારો દ્વારા બિન-હિસાબી વેચાણ, બિન-હિસાબી સ્ટોક જેવી ઘણી ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી હતી. આ વેપારીઓ ને ત્યાંથી અંદાજીત રૂ. પાંચ કરોડથી વધુની કરચોરી મળી આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે. જીએસટી વિભાગે પખવાડિયા પહેલા અમદાવાદમાં પાન મસાલા અને તમાકુ વેપારીઓ પર વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન મણિનગર, કુબેરનગર અને ચાંગોદર સહિતના 22 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રોકડના વ્યવહારો દ્વારા બિન-હિસાબી વેચાણ, બિન-હિસાબી સ્ટોક અને બિન નોંધાયેલ ડીલર જેવી ઘણી ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી હતી. ત્યારબાદ ફરીવાર પાન-મસાલા અને તમાકૂના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.