For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ, કંટ્રોલરૂમ કાર્યરત કરાયા

06:40 PM Jun 02, 2025 IST | revoi editor
ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ  કંટ્રોલરૂમ કાર્યરત કરાયા
Advertisement
  • ગાંધીનગર ખાતે પ્રિ-મોનસૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઇ,
  • સબંધિતવિભાગો તેમજ કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયા, 
  • રાજ્યમાં NDRFની 15 તેમજ  SDRFની 11 કંપની તૈયાર રહેશે

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાની  સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સંબંધિત વિભાગ તાત્કાલીક પોતાના રાજ્ય,જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરે તે જરૂરી છે. વિભાગો પોતાનો ડિઝાસ્ટર મેનેજમેનટ પ્લાન તૈયાર કરીને તેની ઉપર અમલ શરૂ કરે. આ ઉપરાંત વિવિધ વિભાગો પોતાની જરૂરીયાત પ્રમાણે વસ્તુઓ અને પુરવઠાનો પૂરતો જથ્થો અત્યારથી જ સુનિશ્ચિત કરે જેથી ભારે વરસાદ-પૂરની સ્થિતિમાં નાગરિકોને યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. આમ,રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે તેમ, મુખ્ય સચિવ  પંકજ જોષીએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

Advertisement

મુખ્ય સચિવ  પંકજ જોષીએ રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ સાથે આજે ગાંધીનગર ખાતે પ્રિ-મોનસૂન અંગે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.

મુખ્ય સચિવએ કહ્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતમાં દર વર્ષે સરેરાશ વરસાદ વરસ્યો છે જેથી આપણે વધુ કે ઓછા વરસાદનો સામનો કરવો પડ્યો નથી. આ વર્ષે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રીજીયનમાં 114 ટકા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 119 ટકા જેટલો સારો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં એક વર્ષ છોડીને એક વર્ષે નાના-મોટા વાવાઝોડા આવ્યા છે જેમાં છેલ્લે આવેલા બિપરજોય વાવાઝોડામાં  વિવિધ વિભાગોના યોગ્ય સંકલન થકી આપણે જાનહાનિ ટાળી શક્યા છીએ.

Advertisement

આ વર્ષે પણ અગાઉથી રાજ્ય અને કેન્દ્રના વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન દ્વારા આપણે કોઇપણ કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા સજ્જ છીએ તેમ મુખ્ય સચિવએ વિશ્વાસ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું.

ગાંધીનગર ખાતે યોજાયેલી ‘‘પ્રિ-મોનસૂન પ્રિપેર્ડનેસ’’ અંગેની બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ  જયંતિ રવિએ સેનાના ત્રણેય અધિકારીઓને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે સંભવિત આપત્તિના સામના માટેની જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી આપણે રાહત-બચાવની કામગીરી કરી શકીશું જેથી ઓછામાં ઓછું નુકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકશે.તેમણે તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થા૫ન પ્લાન જરૂરી ફેરફાર સાથે તૈયાર રાખવા જણાવી, રાજ્ય વહિવટી તંત્ર, કેન્દ્ર સરકારની કચેરીઓ, સુરક્ષા એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન રાખવા પર પણ ભાર મૂક્યો હતો. આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે રાજ્યના ગ્રામીણ  વિસ્તારમાં 'આપદા મિત્રો'ને તાલીમ આપી સજ્જ કરાશે.

તેમણે ઉમેર્યું કે, સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRFની 15 તેમજ SDRFની 11 ટીમો ઉપલબ્ધ રહેશે જેને જરૂરિયાત પ્રમાણે તહેનાત કરી શકાશે. આ ટીમો પૂરતી બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશનની સુવિધાઓથી સજ્જ હશે.

કેન્દ્રીય હવામાન વિભાગના અધિકારીએ આગામી ચોમાસાની વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાં દર વર્ષ કરતાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે. હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં દર સપ્તાહે વરસાદ વિશે જરૂરી વિગતો આપવામાં આવશે.

આ બેઠકમાં વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ, ઇસરો, સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, BSF, કોસ્ટ ગાર્ડ, CRPF, NDRF, SDRF, CWC, RAF, દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, ભારતીય રેલવે, BSNL તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement