દિલ્હીમાં ગંભીર પ્રદુષણને પગલે સરકારનો નિર્ણય, 50 ટકા સ્ટાફ ઘરેથી કામ કરશે
નવી દિલ્હી: દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)ના નિર્દેશોના આધારે હવે રાજધાનીના સરકારી તથા ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ, 1986ની કલમ 5 હેઠળ આ આદેશ તમામ સરકારી વિભાગો અને તમામ ખાનગી સંસ્થાઓ માટે લાગુ કરવામાં આવ્યો છે.
ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ જી.એન.સી.ટી.ડી. (દિલ્હી સરકાર)ના તમામ સરકારી વિભાગો અને રાજધાનીમાં કાર્યરત તમામ ખાનગી ઓફિસો માત્ર 50% સ્ટાફની શારીરિક હાજરી સાથે કાર્ય કરશે, જ્યારે બાકી કર્મચારીઓ ઘરેથી તેમની ફરજ બજાવશે. સરકારી વિભાગોમાં વિભાગાધ્યક્ષ અને પ્રશાસન સચિવોને નિયમિત ઓફિસમાં હાજર રહેવું ફરજિયાત રહેશે, પરંતુ સ્ટાફનું પ્રમાણ 50% થી વધુ નહીં રાખવાનું સૂચન આપવામાં આવ્યું છે.
દિલ્હીની વાયુ ગુણવત્તા સતત ખરાબ થઈ રહી છે. સોમવાર સાંજે શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 382 નોંધાયો હતો, જ્યારે રવિવારે તે 391 હતો. AQI 300થી ઉપર જતા સ્થિતિને ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે.
સરકારના આદેશ મુજબ નીચેની આવશ્યક સેવાઓને આ નિયંત્રણમાંથી છૂટ આપવામાં આવી છે:
- હોસ્પિટલો અને અન્ય આરોગ્ય સેવાઓ
- અગ્નિશમન સેવા
- જાહેર પરિવહન સેવાઓ
- વીજળી તથા પાણી પુરવઠો
- સ્વચ્છતા અને નગરપાલિકાની સેવાઓ
- આફત વ્યવસ્થાપન
- પ્રદૂષણ નિયંત્રણ તથા અન્ય જરૂરી સરકારી સેવાઓ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય તરત જ અમલી બનશે, જેથી જનજીવન પર પ્રદૂષણના પ્રતિકૂળ પ્રભાવને ઓછો કરવામાં મદદ મળે.