For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં 30મી માર્ચે રત્ન કલાકારોની હડતાળ, હીરાબાગથી એકતા રેલી યોજાશે

05:48 PM Mar 28, 2025 IST | revoi editor
સુરતમાં 30મી માર્ચે રત્ન કલાકારોની હડતાળ  હીરાબાગથી એકતા રેલી યોજાશે
Advertisement
  • ગુજરાત સરકારે રાહત પેકેજ જાહેર ન કરતા અસંતોષ
  • હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને લીધે રત્નકાલાકરોની હાલત કફોડી બની
  • હડતાળને સફળ બનાવવા ઠેર ઠેર લાગ્યા બેનરો

સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા વર્ષોથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જેમાં છેલ્લા એક-બે વર્ષથી વ્યાપક મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. કેટલાક રત્નકલાકારોએ આર્થિક મંદીને કારણે આત્મહત્યા પણ કરી છે. આથી બેરોજગાર બનેલા રત્ન કલાકારોનેને માટે પેકેજ જાહેર કરવા ડાયમન્ડ એસો.એ રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. અને મુખ્યમંત્રી દ્વારા બે દિવસમાં પેકેજ જાહેર કરવાની ખાતરી આપવામાં આવી હતી. છતાયે હજુ કોઈ પેકેજ જાહેર ન કરાતા રત્ન કલાકારો આગામી તા. 30મી માર્ચે હડતાળ પાડશે. તેમજ શહેરના કાપોદ્રા વિસ્તારમાં હીરાબાગથી એકતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

હીરા ઉદ્યોગની છેલ્લા ઘણા વખતથી મંદીની મોકાણ ચાલી રહી છે. નોટબંધી અને કોરોના કાળને કારણે રત્નકલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથળી રહી છે. આ કારણોસર રત્નકલાકારોના પરિવારના સભ્ય આપઘાત કરી રહ્યા છે. તેવા સમયે સરકાર દ્વારા રત્નકલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ. આ માટે વખતો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આગામી 30 માર્ચના રોજ હડતાળ અને કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે. હડતાળને સફળ બનાવવા માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યાં છે. આ હડતાલમાં વધુમાં વધુ રત્નકલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વીડિયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આ સાથે કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે, ત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે 10 માર્ચે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રત્નકલાકારોની સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. સંગઠન દ્વારા 30 માર્ચ, 2025ના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે “રત્નકલાકાર એકતા રેલી”નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવશે. રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં જણાવવામાં આવ્યું છે કે, સરકારની સાથે-સાથે હીરા ઉદ્યોગકાર પણ રત્નકલાકારોની પરિસ્થિતિ સમજે અને આગળ આવે તે જરૂરી છે. આ માટે એક દિવસના બદલે 10 દિવસ પણ હડતાલ કરવી પડે તો તૈયારી રાખજો. કારણ કે, કોરોનાકાળમાં આપણે ત્રણ મહિના સુધી ઘરે બેઠા હતા. જ્યારે હાલમાં આપણું અને આપણા પરિવારનું ગુજરાન ચલાવવાનો પ્રશ્ન છે. ત્યારે તમામ એકજૂટ થઈને આગળ આવશે તો જ આપણા પ્રશ્નો ઉકેલાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement