GCAS દ્વારા UGમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એડમિશન ફેઝ-2" શરૂ કરાયો
- જીકાસ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે અંતિમ તક અપાઈ,
- ચાર તબક્કામાં પ્રવેશ રાઉન્ડ યોજાશે,
- પ્રવેશ કન્ફર્મ કરવા ખાસ પ્રકિયા અનુસરવી પડશે
અમદાવાદઃ GCAS દ્વારા સ્નાતકની વિદ્યાશાખાઓમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એડમિશન ફેઝ-2નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓને હજુ સુધી કોઈ પણ કોલેજમાં પ્રવેશ મળ્યો નથી અથવા જેમણે ઓફર મળ્યા છતાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી, તેમના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને સરકારે આ "સ્પેશિયલ એડમિશન ફેઝ-2" શરૂ કર્યો છે.
જીકાસ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓ માટે બીએ, બીકોમ, બીબીએ, બીસીએ સહિતના સ્નાતકના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને આખરી તક આપવામાં આવી છે. અગાઉ જે વિદ્યાર્થીઓએ માત્ર એક જ કોલેજ-પ્રોગ્રામ પસંદ કર્યો હતો અથવા જેમના મેરિટ સ્કોર કટ-ઓફથી ઓછા હતા, તેમને 25 ઓગસ્ટ, 2025થી 27 ઓગસ્ટ, 2025 દરમિયાન તેમની પસંદગી સુધારવાની તક આપવામાં આવી હતી. જોકે, જે વિદ્યાર્થીઓ આ તકનો લાભ લઈ શક્યા ન હતા, તેમને અંતિમ તક પૂરી પાડવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને 4 સપ્ટેમ્બર, 2025 અને 5 સપ્ટેમ્બર, 2025ના રોજ ઇમેઇલ, વોટ્સએપ અને SMS દ્વારા પોર્ટલ પર તેમની પસંદગી અપડેટ કરવા માટે જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, GCAS હેલ્પલાઇન દ્વારા ફોન કોલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક) દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી.
આ ખાસ તબક્કા માટે પ્રવેશના રાઉન્ડ્સના યોજાશે. જેમાં 8મી સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ તબક્કે પ્રવેશ કાર્યવાહી કરાશે. વિદ્યાર્થીઓએ આ તબક્કાઓમાં પ્રવેશ કન્ફર્મ કરવા માટે જરૂરી પ્રક્રિયા અનુસરવાની રહેશે.