ગાંધીનગર મ્યુનિને એડવાન્સ પ્રોપર્ટીટેક્સ રિબેટ યોજના ફળી, 45 કરોડની આવક
- પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 91 કરોડનું વળતર અપાયું,
- 1લી એપ્રિલથી 15મી જૂન સુધીમાં 91,381 કરદાતાઓ પ્રોપર્ટી ટેક્સ ભર્યો,
- 57 ટકા મિલકતધારકોએ 11 કરોડનો વેરો ઓનલાઇન જમા કરાવ્યો
ગાંધીનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યાજના અમલમાં મુકતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. મ્યુનિ.દ્વારા વર્ષ 2025-26માં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા નાગરિકો માટે 10 ટકા વેરા વળતર યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાની મુદ્દત વધારીને 15મી જૂન સુધીની રાખવામાં આવી હતી. 1લી એપ્રિલથી 15મી જૂન સુધીમાં 91,381 કરદાતાઓ દ્વારા 45.19 કરોડ રૂપિયાનો મિલકતવેરો ભરવામાં આવ્યો હતો. જે પૈકી 51,837 કરદાતાઓ દ્વારા ઓનલાઇન મિલકત વેરો ભરપાઇ કરી કુલ 12 ટકા વળતરનો લાભ લીધો હતો. મ્યુનિ. દ્વારા એડવાન્સ અને ઓનલાઇન વેરો ભરનાર કરદાતાઓને કુલ 2.91 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે.
ગાંધીનગર મ્યુનિના સૂત્રોના કહેવા મુજબ 1લી એપ્રિલથી 15મી જૂન સુધીમાં 91,381 કરદાતાઓ દ્વારા 45.19 કરોડ રૂપિયાનો મિલકતવેરો ભરવામાં આવ્યો હતો. જે પૈકી 51,837 કરદાતાઓ દ્વારા ઓનલાઇન મિલકત વેરો ભરપાઇ કરી કુલ 12 ટકા વળતરનો લાભ લીધો હતો. મ્યુનિ.દ્વારા પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે નવું સોફ્ટવેર વિકસાવી વિવિધ પ્રકારે ઓનલાઇન પેમેન્ટ સહિતની સુવિધા ઉભી કરવામાં આવ્યા બાદ છેલ્લા બે વર્ષથી પ્રોપર્ટી ટેક્સની અસરકારક વસૂલાત થઇ રહી છે. ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો. અઢી મહિનાના સમયગાળામાં 91 હજાર જેટલા મિલકતધારકોએ એડવાન્સ વેરો ભરપાઇ કરી દેતાં મ્યુનિને કુલ 45.19 કરોડની આવક થઇ ગઇ છે. 57 ટકા મિલકતધારકોએ 21.11 કરોડનો વેરો ઓનલાઇન જમા કરાવ્યો હતો. મ્યુનિ દ્વારા વેરો ભરવા માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારની વ્યવસ્થા ચાલું રાખવામાં આવી હતી.