ગાંધીનગરઃ કોબા સર્કલ નજીક ભેખડ ધસી પડતા 3 શ્રમજીવી દબાયા, એકનું મોત
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આરંભ સાથે જ તંત્ર દ્વારા જર્જરિત મકાનને લઈને નોટિસ પાઠવવામાં આવી છે. દરમિયાન ગાંધીનગરમાં કોબા સર્કલ નજીક ભાજપના કાર્યાલય પાસે બાંધકામ સાઉટ ઉપર ભેખડ ધસી પડતા નાસભાગ મચી ગઈ હતી. ભેખડ ધસી પડતા તેની નીચે 3 શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં એક શ્રમજીવીનું મોત થયાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોબા સર્કલ નજીક એક ઈમારતના બાંધકામ ચાલી રહ્યું છે. આજે કેટલાક શ્રમજીવીઓ કામ કરી રહ્યાં હતા ત્યારે ભેખડ ધસી પડી હતી જેથી નાસભાગ મચી ગઈ હતી. તેમજ સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભેખડ નીચે 3 જેટલા શ્રમજીવી દબાયાં હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ભેખડ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કવાયત શરૂ કરી હતી. આ દૂર્ઘટનામાં અજય પરમાર નામના શ્રમજીવીનું મોત થયું હતું. જ્યારે નટવર ડામોર અને ચિરાગ ડામોરને ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ શ્રમિકો રાજસ્થાનના ડુંગરપુરના હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે.