ભારત-બ્રિટન વચ્ચે FTA પર થશે હસ્તાક્ષર
નવી દિલ્હીઃ ભારત અને બ્રિટન વચ્ચે બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરાર (FTA) પર 24 જુલાઈના રોજ લંડનમાં હસ્તાક્ષર થશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ હાજર રહેશે. બંને દેશોએ 6 મેના રોજ વેપાર કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.
હસ્તાક્ષર થયા બાદ કેટલા સમયમાં અમલ થશે ?
સોમવારે સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા માટે 24 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લંડન જશે. આ કરાર પર હસ્તાક્ષર થયા પછી, તેને અમલમાં આવવામાં લગભગ એક વર્ષ લાગશે.
એકવાર બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થઈ જાય, પછી તેને અમલમાં મૂકતા પહેલા બ્રિટિશ સંસદ અને ભારતીય મંત્રીમંડળની મંજૂરીની જરૂર પડશે. વેપાર કરારમાં ચામડા, ફૂટવેર અને કપડાં જેવા શ્રમ-સઘન ઉત્પાદનોની નિકાસ પરના કર દૂર કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે બ્રિટનથી વ્હિસ્કી અને કારની આયાત સસ્તી બનાવવામાં આવશે, જેથી 2030 સુધીમાં બંને અર્થતંત્રો વચ્ચેનો વેપાર બમણો થઈને US$120 બિલિયન થઈ શકે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી બ્રિટન અને માલદીવની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે જશે, જેનો હેતુ વેપાર, રોકાણ અને સંરક્ષણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ વડા પ્રધાનની સાથે રહેશે.