મહારાષ્ટ્ર અને કલકત્તામાં પૂરની સ્થિતિ, ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે ઓડિશા અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.આજે ઉત્તરપૂર્વ ભારતમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બિહાર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાણા અને વિદર્ભમાં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુઓ, રાયલસીમા, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે.દેશના અમુક રાજયમાં વરસાદે તારાજી કરી છે જેમાં સૌથી વધુ કલકત્તામાં 13 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું અને વરસાદના કારણે 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે. જેને પગલે સાવચેતીના ભાગ રૂપે આજે ઘણી એક્સપ્રેસ અને મેલ ટ્રેનો રદ કરવામાં આવી છે. સ્થાનિક ટ્રેન સેવાને પણ અસર થઈ છે.કલકત્તામાં મેટ્રો સેવા પણ બંધ કરાઇ છે.કલકત્તાના દક્ષિણ ભાગમાં ગત રાત્રે થયેલા ધોધમાર વરસાદના પગલે જનજીવન પર માઠી અસર થઈ છે. સ્થાનિક હવામાન વિભાગે આકાશવાણીને માહિતી આપી હતી કે કોલકાતામાં 1978 પછી રેકોર્ડ વરસાદ નોંધાયો છે.
આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી છે તેથી તમામ CBSE અને ICSE શાળાને બંધ રાખવા જણાવાયું છે.મહારાષ્ટ્રમાં, છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ વચ્ચે NDRFએ પરંડા તાલુકાના કપિલાપુરીમાં એક બાળક સહિત એક પરિવારના નવ સભ્યોને બચાવ્યા છે.મરાઠવાડાના ઘણા ભાગોમાં, ખાસ કરીને લાતુર, ધારાશિવ અને હિંગોલી જિલ્લામાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. વૈજાપુરના પંચશીલ નગરમાં વરસાદી પાણી અનેક ઘરોમાં ઘૂસી ગયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ચાલુ છે.