લખનૌમાં ખાનગી બસમાં આગ લાગતા બે બાળક સહિત પાંચ વ્યક્તિ થઈ ભડથું
લખનૌ: લખનૌના મોહનલાલગંજ વિસ્તારમાં કિસાન પથ પર બિહારથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી બસમાં આગ લાગતાં બે બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. એડિશનલ પોલીસ કમિશનર (મોહનલાલગંજ) રજનીશ વર્માએ જણાવ્યું હતું કે બિહારના બેગુસરાયથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી બસમાં સવારે લગભગ 5 વાગ્યે અચાનક આગ લાગી હતી. તેમણે કહ્યું કે બસમાં મુસાફરી કરી રહેલા બે બાળકો, બે મહિલાઓ અને એક પુરુષનું આગ લાગવાથી મોત થયું છે, જ્યારે અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસના ગિયર બોક્સમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બસમાં લગભગ 80 મુસાફરો હતા અને આગ લાગી ત્યારે તે બધા સૂતા હતા. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ અડધા કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બસનો ઇમરજન્સી દરવાજો ખુલ્યો ન હતો અને તેના કારણે લોકો બસમાંથી બહાર નીકળી શક્યા ન હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ એક કિલોમીટર દૂર સુધી દેખાતી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં કિસાન પથ પર બસમાં આગ લાગવાથી થયેલા અકસ્માતની નોંધ લીધી હતી. સીએમ યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને જિલ્લા વહીવટી અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપ્યો. આ સાથે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પણ શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સીએમ યોગીએ જિલ્લા વહીવટી અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી.