સુરતમાં એક ફ્લેટમાં મધરાત બાદ આગ લાગી, પરિવારના 4 સભ્યોને રેસ્ક્યુ કરાયા
- સુરતના જહાગીરાબાદ વિસ્તારના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે કીચનમાં લાગી આગ,
- પરિવારના સભ્યો જીવ બચાવવા ગેલેરીમાં દોડી ગયો,
- 35 ફૂટના લેડરની મદદથી પરિવારના 4 સભ્યોને નીચે ઉતારાયા
સુરતઃ શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં પરિવાર સૂતો હતો ત્યારે મધરાત બાદ વહેલી પરોઢે ઘરના કિચનમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. આગના ધૂમાડાને લીધે પરિવારના સભ્યો ભરઊંઘમાંથી જાગીને ઘરની ગેલરીમાં દોડી આવી ફસાઈ ગયા હતા. આગ લાગ્યની અને ફ્લેટમાં લોકો ફસાયા હોવાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લેડરથી માતા-પિતા અને બે પુત્રને સહીસલામત નીચે ઊતર્યા હતા. ત્યાર બાદ આગ પર કાબુ મેળવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના જહાંગીરાબાદ ખાતે આવેલા વૈષ્ણોદેવી બ્લૂ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે 302 નંબરના ફ્લેટમાં 48 વર્ષીય વિનોદભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને બે પુત્ર છે. આજે વહેલી સવારે 03.26 કલાકે ઘરના કિચનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી આખો પરિવાર ઘરની બહાર ન નીકળી શકતા ગેલરીમાં ફસાઈ ગયો હતો. વૈષ્ણોદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગવાનો અને માણસ ફસાયેલા હોવાનો કૉલ સુરત ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો. જેથી તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરાભાગળ, પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનને આગ અને બચાવનો કોલ આપ્યો હતો. આગના કોલની ગંભીરતા પારખીને અડાજણ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ શહેરના જહાંગીરાબાદ ખાતે આવેલા વૈષ્ણોદેવી બ્લૂ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે 302 નંબરના ફ્લેટમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ ત્રણ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સૌથી પહેલા રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. B બિલ્ડિંગના 302 નંબરના ફ્લેટમાં ફસાયેલા 4 લોકોને કઢાવવાની કામગીરી કરી હતી. ફાયર એન્જિન 302 નંબરના ફ્લેટની પાછળ આવેલી ગેલેરી નીચે લાવવામાં આવ્યું હતુ. 35 ફૂટના લેડરથી ફાયરના જવાનો દ્વારા વિનોદભાઈ પટેલ (ઉં. વ. 48), માયાબેન વિનોદભાઈ પટેલ (ઉં.વ. 47), નંદન વિનોદભાઈ પટેલ (ઉં.વ. 26) અને કશ્યપ વિનોદભાઈ પટેલ (ઉં.વ. 22)ને ત્રીજા માળની ગેલરીમાંથી સહીસલામત નીચે ઊતર્યા હતાં અને ત્યારબાદ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમ દ્વારા લગભગ એકથી દોઢ કલાકમાં બચાવ અને આગ ઓલવવાની કામગીરી પૂર્ણ કરી હતી. પરિવારના ચારેય સભ્યોને 108 બોલાવીને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. પરિવાર ખૂબ જ ગભરાઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.