ફિલ્મ અભિનેતા આમિર ખાને જાણીતા એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક છોડી દીધી!
મુંબઇ : બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાને એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક છોડી દીધી હોવાનું ફિલ્મજગતમાં ચર્ચાઈ રહ્યું છે. આમિરે પોતાની પાસે આ બાયોપિકની તૈયારી માટે સમયનો અભાવ હોવાનું બહાનું કાઢ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આમિર પોતાના સમકાલીન સ્ટાર્સ શાહરુખ અને સલમાનની સરખામણીએ ઓછી ફિલ્મો કરવા માટે જાણીતો છે. ક્યારેક તો તે એક જ પ્રોજેક્ટમાં એક કે બે વર્ષનો સમય લગાવી દે છે. હાલ તે એક્ટર કરતાં પણ નિર્માતા તરીકે વધારે વ્યસ્ત છે.
આમિરે આ બાયોપિક સ્વીકારવામાં પણ ઘણો સમય લીધો હતો અને હવે તેણે આ ફિલ્મનું શૂટિંગ શરુ થાય તે પહેલાં જ તે છોડી દીધી છે. આથી નિર્માતા દિનેશ વિજનનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાસ્ટિંગના તબક્કે જ અટવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ઉજ્જવલ નિકમ મુંબઈ વિસ્ફોટો, 26/11 એટેક તથા ગુલશન કુમાર હત્યા કેસ સહિતના અનેક હાઈ પ્રોફાઈલ કેસમાં કામ કરી ચૂક્યા છે. આમિર ખાનના ઈન્કારના કારણે તો હાલ આ પ્રોજેક્ટ અટવાયાનું ચર્ચાઈ રહ્યું છે. એટલુ જ નહીં ફિલ્મના નિર્માતા હવે આ ફિલ્મ માટે અન્ય અભિનેતાની આગામી દિવસોમાં શોધખોળ શરૂ કરશે.