For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સૂત્રાપાડાના લખાપરા ગામની સીમમાં દીપડાએ હુમલો કરતા ખેડૂતનું મોત

06:15 PM Jun 03, 2025 IST | revoi editor
સૂત્રાપાડાના લખાપરા ગામની સીમમાં દીપડાએ હુમલો કરતા ખેડૂતનું મોત
Advertisement
  • ખેડુત પાકની રખેવાળી કરવા માટે ખેતર ગયા હતા
  • સવારે ઘેર પરત ન ફરતા પરિવારજનોએ તપાસ કરી
  • ખેતરમાં ખેડુતનો લોહીથી લથબથ મૃતદેહ મળ્યો

સુત્રાપાડાઃ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રોપાડા તાલુકાના લખાપરા ગામની સીમમાં કૃષિપાકનું રખોપુ કરવા ગયેલા ખેડુત પર દીપડાએ હુમલો કરતા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. વહેલી સવારે પરિવારજનો ખેતરે જઈ તપાસ કરતા ઘટના સ્થળથી 50 મીટર દૂર મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં પડ્યો હતો. ગ્રામજનોએ આ અંગે વન વિભાગને પણ જાણ કરી છે.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લખાપરા ગામની સીમમાં નારણભાઈ નામના ખેડૂત પોતાના ખેતરે પાકનું રક્ષણ કરવા ગયા હતા. નારણભાઈ મોડી રાત સુધી આસપાસના ખેડૂતો સાથે અંદાજે રાત્રે 12 વાગ્યા સુધી બેસીને વાતો કરતા હતા. જે બાદ નારણભાઈ ખેતરમાં રાખેલા પાક નજીક ઊંઘવા ગયા હતા. જોકે વહેલી સવારે નારણભાઈ ઘરે પરત ન આવતા આખરે પરિજનોએ ખેતરમાં તપાસ કરી હતી. નારણભાઈ જે જગ્યા પર પાકનું રક્ષણ કરતા હતા ત્યાં લોહીના નિશાન જોવા મળ્યા હતા. લોહીના નિશાન જોવા મળતા પરિજનો ચિંતિત બન્યા અને ગામના કેટલાક અગ્રણીઓને જાણ કરી. બાદમાં આસપાસમાં તપાસ કરતા ઘટના સ્થળથી અંદાજે પચાસેક મીટર દૂર નારણભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. નારણભાઈનો મૃતદેહ મળી આવતાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. જોકે બાદમાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા આદમખોર દીપડાએ નારણભાઈ નામના ખેડૂતનો જીવ લીધાનું સામે આવ્યું છે. ત્યાર બાદ ખેડૂત નારણભાઈનો મૃતદેહ સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

લખાપરા ગામ અને આસપાસના ગામોના લોકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં 15થી 20 જેટલા આદમખોર દીપડાઓ આંટાફેરા મારી રહ્યા છે. જેમને લઈ અનેક વખત વન વિભાગને જાણ પણ કરવામાં આવી છે. આજે નારણભાઈ નામના ખેડૂતનો આદમખોર દીપડાએ જીવ લીધા બાદ વન વિભાગ સક્રિય બન્યું છે. સતત દીપડાઓની અવરજવરના કારણે આસપાસના ગામડાઓના લોકો સતત ભયમાં રહે છે. ખેડૂતો પોતાની વાડીએ અથવા તો પોતાના પાકનું રક્ષણ કરવા જતા પહેલા ડરનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવે જ્યારે નારણભાઈ નામના ખેડૂતનો આદમખોર દીપડાએ જીવ લીધો છે ત્યારે જોવું રહ્યું કે, આ આદમખોર દીપડાને વન વિભાગ ક્યારે પાંજરે પૂરે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement