છ દાયકાની સેવા બાદ મિગ-21ને વિદાય, ચંદીગઢમાં ભારતીય વાયુસેનાનો ઐતિહાસિક ક્ષણ
ચંદીગઢ : ભારતીય વાયુસેનાએ આજે દેશની રક્ષા ઇતિહાસનો એક અગત્યનો અધ્યાય પૂર્ણ કર્યો છે. લગભગ છ દાયકા સુધી આકાશમાં ગર્જના કરનાર મિગ-21 ફાઇટર જેટને ચંદીગઢમાં સત્તાવાર રીતે સેવાનિવૃત્ત કરવામાં આવ્યું છે.
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ ઐતિહાસિક વિમાનને વિદાય અપાઈ હતી. એર ચીફ માર્શલ એપી સિંહે ‘બાદલ-3’ સ્ક્વોડ્રન સાથે મિગ-21ની છેલ્લી ઉડાન ભરી હતી.
મિગ-21ને 1963માં ચીન-ભારત યુદ્ધ પછી વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ વિમાન ભારતનું પ્રથમ સુપરસોનિક ફાઇટર જેટ હતું અને તેને "ગાર્ડિયન ઓફ ધ સ્કાય" તરીકે ઓળખવામાં આવતું.
મિગ-21એ 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને 1971ના યુદ્ધ દરમિયાન આ વિમાને પાકિસ્તાની વાયુસેનાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આજની વિદાય સાથે મિગ-21ના સાહસ, શક્તિ અને વિજયની ગાથા ભારતીય સેનાના ઇતિહાસમાં સદાય માટે અંકિત થઈ ગઈ છે.