જાણીતા વિલન અજીતે પુત્રના અભિનય કારકિર્દી માટે પોતાની ઓળખનો ઉપયોગ કર્યો ન હતો
હિન્દી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકામાં અજિતે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ દિગ્ગજ અભિનેતાનો 'મોના ડાર્લિંગ' સંવાદ આજે પણ પ્રખ્યાત છે. 1970ના દાયકાના હિન્દી સિનેમામાં તેમના ભવ્ય વ્યક્તિત્વ અને યાદગાર "લાયન" પાત્ર માટે જાણીતા, અજિત (જન્મ હામિદ અલી ખાન) એ રૂપેરી પડદે રાજ કર્યું હતું. તેમણે કાલીચરણ, ઝંઝીર, યાદો કી બારાતથી ઘણી ખ્યાતિ મેળવી હતી. તેમને સિંહ કહેવામાં આવતા હતા. જ્યારે, અજિતનો પુત્ર શહઝાદ ખાન પણ તેમના પિતાની જેમ અભિનેતા બનવા માંગતો હતો. જોકે, તેમના પિતાએ તેમને અભિનય કારકિર્દી બનાવવામાં મદદ કરી ન હતી. શહઝાદ ખાને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમના પિતા વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
શહઝાદે જણાવ્યું હતું કે, "મને મારા અભિનય કારકિર્દી અંગે મારા પિતા તરફથી ક્યારેય કોઈ સમર્થન મળ્યું નથી." તેમના વિશાળ પ્રભાવ હોવા છતાં, અજિતે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ તેમના પુત્ર શહઝાદ માટે ઉદ્યોગમાં કોઈની ભલામણ કરશે નહીં. તેમણે શહઝાદને તેમના પિતા-પુત્રના સંબંધો છુપાવવાનું સૂચન પણ કર્યું.
અભિનેતાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમણે મને કહ્યું હતું કે તે ક્યારેય મારા માટે ફિલ્મ બનાવશે નહીં, અને મને કોઈ દિગ્દર્શક કે નિર્માતા પાસે મોકલશે નહીં." શહેઝાદે વધુમાં ઉમેર્યું, "મને લાગે છે કે મારા પિતા થોડા અસુરક્ષિત હતા. તેમને ડર હશે કે જો હું તેમના ધોરણો પ્રમાણે નહીં જીવીશ, તો તે તેમના વારસાને કલંકિત કરી શકે છે." શોર્ટકટ ન હોવા છતાં, શહેઝાદે દ્રઢતાથી કામ કર્યું અને આખરે 'અંદાઝ અપના અપના' અને 'કયામત સે કયામત તક' અને 'ભારત' જેવી ફિલ્મોમાં ભલ્લાની ભૂમિકાથી દિલ જીતી લીધા.