ઈંગ્લેન્ડના ખેલાડી જેક ક્રોલી અને ઓપી પોપની ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં થશે ખરી કસોટીઃ જ્યોફ્રી બાયકોટ
પોતાના સમયના દિગ્ગજ બેટ્સમેન જ્યોફ્રી બોયકોટ એ વાત સાથે સહમત નથી કે ઇંગ્લેન્ડના જેક ક્રોલી અને ઓલી પોપે ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી હોવા છતાં તેમની 'ટેકનિકલ અને માનસિક સમસ્યાઓ' દૂર કરી છે અને માને છે કે તેમનો ખરો પડકાર આવતા મહિને ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં આવશે.
છેલ્લા કેટલાક મહિનાઓ ક્રોલી માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તેણે ન્યુઝીલેન્ડમાં સંઘર્ષ કર્યો, જ્યાં તેની સરેરાશ નવથી ઓછી હતી અને બધી છ ઇનિંગ્સમાં મેટ હેનરી દ્વારા આઉટ થયો હતો. પોપ માટે 2024 પણ ઉતાર-ચઢાવથી ભરેલું હતું. હૈદરાબાદમાં ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં 196 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યા બાદ તેના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ હતો.
બોયકોટે ડેઇલી ટેલિગ્રાફમાં પોતાની કોલમમાં લખ્યું, 'અમે હજુ સુધી એવું તારણ કાઢી શકતા નથી કે ક્રોલી અને પોપે તેમની તકનીકી અને માનસિક સમસ્યાઓનો ઉકેલ લાવી દીધો છે જે તેમની કારકિર્દીને અસર કરી રહી હતી, કારણ કે ઝિમ્બાબ્વેની બોલિંગ ખૂબ જ સામાન્ય હતી.' ઈંગ્લેન્ડના ટોચના ત્રણ બેટ્સમેન ક્રોલી, બેન ડકેટ અને પોપે સદી ફટકારી હતી, જેના કારણે યજમાન ટીમે ઝિમ્બાબ્વે સામે છ વિકેટે 565 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. ઈંગ્લેન્ડે આ એકમાત્ર ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 45 રનથી જીતી હતી.
બોયકોટે કહ્યું, 'તેઓ મધ્યમ ગતિના બોલરો હતા, જે ક્રોલી અને પોપની બેટિંગમાં કોઈ ખામીઓ ઉજાગર કરવા માટે પૂરતા સારા નહોતા. સારા બોલરો સામે ખરેખર કોઈ સુધારો થયો છે કે નહીં તે જોવા માટે આપણે ભારત સામેની શ્રેણી સુધી રાહ જોવી પડશે. આ તેમના માટે એક વાસ્તવિક કસોટી હશે અને આના પરથી આપણે વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકીશું કે તેઓ હાલમાં ક્યાં છે.' ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 20 જૂનથી લીડ્સમાં રમાશે. ત્યારબાદ ઇંગ્લેન્ડ એશિઝ શ્રેણી રમવા માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જેની પ્રથમ મેચ 21 નવેમ્બરથી શરૂ થશે.