વર્ષ 2047 સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની ઉર્જા મંત્રીએ નેમ વ્યક્ત કરી
ગાંધીનગરઃ ઉર્જા મંત્રી કનુ દેસાઇએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વિધાનસભામાં આજે ઉર્જા વિભાગની માગણી પરની ચર્ચા દરમિયાન, દેસાઇએ રાજયમાં 100 ગીગાવોટથી વધુની હરિત ઉર્જા ક્ષમતા સ્થાપવાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી, તેમણે કહ્યું હતું કે, ઉર્જા મંત્રાલય દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓને A રેટિંગ આપવામાં આવ્યું છે જેમાં રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, દેસાઇએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં અંદાજે 509 કરોડ રૂપિયાના ખર્ચે 16 હજાર 570 કૂવાનું વીજળીકરણ કરાશે તેમજ આગામી વર્ષે 6 હજાર 830 કરોડ રૂપિયાના ખર્ચે 3 હજાર 170 સર્કિટ ટ્રાન્સમિશન લાઇન તથા 96 સબસ્ટેશનો બનાવાશે.
તેમણે કહ્યું હતું કે, કચ્છ, ભાવનગર તેમજ ભરૂચ ખાતે એક હજાર 250 મેગાવોટ લિગ્નાઇટ આધારિત પાવર પ્લાન્ટ સ્થપાશે. ચર્ચા અંતે વિધાનસભામાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વર્ષ અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ હતી.