છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણઃ 27 નક્સવાદીઓ ઠાર મરાયાં, એક જવાન શહીદ
નવી દિલ્હીઃ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં ડીઆરજીના જવાનો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અબુઝમાડ વિસ્તારમાં થઈ રહેલા આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 26 નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધી શકે છે. અનેક નક્સલીઓના મૃતદેહ અને મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હોવાના અહેવાલો છે. આ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો હોવાનું જાણવા મળે છે જ્યારે અન્ય એક જવાનને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર, નારાયણપુર, બીજાપુર અને દાંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ અને ડીઆરજીના જવાનો વચ્ચે અથડામણ ચાલુ છે. સવારથી જ માડ વિસ્તારમાં ગોળીબાર ચાલી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે DRGના જવાનોએ મોટા નક્સલી નેતાઓને ઘેરી લીધા છે. આ અથડામણમાં લગભગ 26 નક્સલીઓ માર્યા ગયાના સમાચાર છે, માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા પણ વધી શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ટોચના નક્સલી બાસવા રાજુ, જેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું, તે પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ઘણા અન્ય મોટા નક્સલી નેતાઓ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધવાની શક્યતા છે. બુધવારે સવારથી જ માડના દુર્ગમ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થઈ રહ્યો હતો. આ ઝુંબેશને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે, ખાસ કરીને અબુઝમાડ જેવા નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં જ્યાં તેમનો મજબૂત ગઢ માનવામાં આવે છે. આ સફળતાથી વિસ્તારમાં નક્સલવાદી પ્રવૃત્તિઓ પર અંકુશ આવવાની અપેક્ષા છે.
નારાયણપુરમાં ચાલી રહેલા ઓપરેશનમાં માર્યા ગયેલા 26 નક્સલીઓ અંગે છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ ડૉ. રમણ સિંહે કહ્યું કે હું છત્તીસગઢ પોલીસને આ મોટા ઓપરેશનમાં સફળતા બદલ અભિનંદન આપું છું. આ કાર્યવાહીમાં એક પોલીસકર્મીને ઈજા થવા ઉપરાંત અન્ય કોઈને નુકસાન થયું નથી. હું કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને વિજય શર્માજીને પણ અભિનંદન આપું છું. સીએમ વિષ્ણુદેવ સાંઈએ કહ્યું કે નક્સલ મોરચે સતત સફળતા મળી રહી છે. 27 થી વધુ નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. તેમણે આ સફળ કામગીરી માટે સૈનિકોને અભિનંદન આપ્યા.