રોકાણકારો સાથે રૂ. 2,700 કરોડની છેતરપિંડીના કેસમાં EDના રાજસ્થાન અને ગુજરાતમાં દરોડા
નવી દિલ્હીઃ રોકાણકારો સાથે રૂ. 2,700 કરોડની છેતરપિંડીની કથિત મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે રાજસ્થાન અને ગુજરાતમાં દરોડા પાડ્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધાયેલ આ કેસ નેક્સા એવરગ્રીન નામની કંપની સામે રાજસ્થાન પોલીસમાં નોંધાયેલી FIR સાથે સંબંધિત છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની પર ગુજરાતના ધોલેરા શહેરમાં પ્લોટ અને ઉચ્ચ વળતરનું વચન આપીને રોકાણકારો સાથે રૂ. 2,700 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. ઈડીના સુત્રોના જણાવ્યા અનુસાર, તપાસના ભાગ રૂપે રાજસ્થાનના સીકર, જયપુર, જોધપુર અને ઝુનઝુનુ અને ગુજરાતના અમદાવાદમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે. ઈડી દ્વારા આ મામલે દિલ્હીમાં પણ દરોડા પાડીને તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. ઈડીની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.