લદ્દાખમાં આવ્યો ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય
નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર, આ ભૂકંપ સવારે 4:32:58 વાગ્યે આવ્યો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા.
વહેલી સવારે આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ લદ્દાખની રાજધાની લેહમાં 10 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ભૂકંપના આંચકાને કારણે તેઓ જાગી ગયા અને પછી તેઓ પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
લદ્દાખ હિમાલય પર્વતોની નજીક આવેલું છે, તેથી તેને ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, અહીં નાના ભૂકંપ આવવા સામાન્ય છે, પરંતુ મોટા ભૂકંપનો ભય પણ રહે છે. આ વખતે જે ભૂકંપ આવ્યો છે તે સામાન્ય છે. આ વખતે પણ આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. આવા ભૂકંપથી નુકસાન થવાની શક્યતા ઓછી હોય છે.