જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનું DRDO એ સફળ પરીક્ષણ કર્યું
બેંગ્લોરઃ ભારતીય સેના અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ (MRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 3 અને 4 એપ્રિલના રોજ ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પર કરવામાં આવ્યું હતું.
મિસાઇલના ચાર ઉડાન પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જેમાં તેણે તેના તમામ લક્ષ્યોને ચોકસાઈથી નષ્ટ કર્યા હતા. પરીક્ષણ દરમિયાન, મિસાઇલે લાંબા અને ટૂંકા અંતર તેમજ ઊંચા અને નીચા ઉડતા હવાઈ લક્ષ્યોને નિશાન બનાવ્યા. આ શસ્ત્ર પ્રણાલી દુશ્મનના વિમાન, ડ્રોન અને મિસાઇલોનો નાશ કરવામાં સક્ષમ છે.
આ પરીક્ષણો દરમિયાન, રડાર અને ઇન્ફ્રારેડ ટ્રેકિંગ સિસ્ટમ્સની મદદથી ફ્લાઇટ ડેટા રેકોર્ડ અને ચકાસવામાં આવ્યો હતો. DRDOએ ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી ભારતીય સેના માટે આ મિસાઇલ વિકસાવી છે. આ મિસાઇલ સિસ્ટમ મલ્ટી-ફંક્શન રડાર, કમાન્ડ પોસ્ટ અને મોબાઇલ લોન્ચરથી સજ્જ છે, જે તેને કોઈપણ પરિસ્થિતિમાં ઝડપી અને સચોટ પ્રહાર કરવા સક્ષમ બનાવે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા બદલ DRDO, ભારતીય સેના અને સંરક્ષણ ઉદ્યોગોને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે આ શસ્ત્ર પ્રણાલી સેનાની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. ડીઆરડીઓના વડા સમીર વી. કામતે પણ આ સિદ્ધિને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી અને પરીક્ષણમાં સામેલ વૈજ્ઞાનિકો અને સૈન્ય અધિકારીઓની પ્રશંસા કરી.