ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ અમને તો ખબર જ હતી કે કંઈક થવાનું છે, એરસ્ટ્રાઈક બાદ ટ્રમ્પે આપ્યુ રિએક્શન
- ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવની સ્થિતિને 'શરમજનક' ગણાવી
- મને હમણાં જ ખબર પડી કે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો છે
વૉશિંગ્ટન: ભારતે પાકિસ્તાન પર ગત મધરાત બાદ કરેલી એરસ્ટ્રાઈક બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો પ્રતિભાવ આપ્યો હતો કે, અમને તો ખબર જ હતી કે કંઈક થવાનું છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના 'ઑપરેશન સિંદૂર' પર પોતાનું પ્રથમ રિએક્શન આપ્યું હતુ. તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવની સ્થિતિને 'શરમજનક' ગણાવી હતી. ઓવલ ઓફિસમાં એક સમારોહ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, તેમને હમણાં જ ખબર પડી કે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો છે. ભારતીય સેનાએ બુધવારે વહેલી સવારે 'ઑપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદી છાવણીઓ પર સચોટ હુમલો કર્યો, જે પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલાનો જવાબ હતો.
ઓવલ ઑફિસમાં પોતાના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફના શપથ ગ્રહણ બાદ ટ્રમ્પે કહ્યું કે, 'આ શરમનાક છે. અમે ઓવલ ઓફિસમાં આવતા હતા ત્યારે આ અંગેની જાણકારી મળી. ખબહ હતી કે કંઈક થવાનું છે, કારણ કે બંને દેશ લાંબા સમયથી લડી રહ્યા છે, દાયકાઓથી.' તેમણે વધુમાં કહ્યું કે, 'મને આશા છે કે આ જલદી જ સમાપ્ત થઈ જશે.' ટ્રમ્પનું આ નિવેદન ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઐતિહાસિક તણાવને દર્શાવે છે, પરંતુ તેમની ટિપ્પણીમાં આતંકવાદ સામે ભારતની કાર્યવાહીનો કોઈ ઉલ્લેખ નહોતો.