સરકારી કોલેજોના અધ્યાપકોના બદલી કેમ્પ સામે અસંતોષ જાગ્યો
- બદલી કેમ્પના પ્રારંભ પહેલા લાગવગ અને રાજકીય ગોઠણ હોવાનો આક્ષેપ
- ગાંધીનગરમાં આજથી 5 દિવસ સુધી બદલી કેમ્પનું આયોજન
- 484 અધ્યાપકો બદલી કેમ્પમાં ભાગ લેશે
અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાના શિક્ષકો, સરકારી માધ્યમિક શાળા શિક્ષકોની જેમ હવે સરકારી કોલેજોના અધ્યાપકો માટે બદલી કેમ્પનું આજથી આયોજન કર્યુ છે. જોકે આ બદલી કેમ્પ પહેલાં જ અગ્રતા ક્રમ અને બદલીની નીતિ અંગે અધ્યાપકોમાં નારાજગી જોવા મળી રહી છે. પાંચ દિવસ ચાલનારા બદલી કેમ્પસ સામે અનેક પ્રશ્નો ઉઠ્યા છે. જેમાં ખાસ કરીને લાગવગ, રાજકીય ગોઠવણ અને “અસમાન અગ્રતાક્રમ” અંગેની ગંભીર આક્ષેપો સામે કરવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર ખાતે આજે તા. 29મીથી પાંચ દિવસ માટે બદલી કેમ્પ યોજવામાં આવ્યો છે. સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોની જેમ હવે વર્ગ-2 ગણાતા સરકારી અધ્યાપકો માટે પણ પ્રથમવાર બદલી કેમ્પ યોજાઈ રહ્યો છે. અત્યાર સુધી સરકારી કોલેજોના અધ્યાપકોની જાહેર હિતમાં થતી બદલીઓ હવે પ્રથમવાર માંગણીઓને આધારે કેમ્પ દ્વારા થશે. આજે 29મીથી પાંચ દિવસ માટે ગાંધીનગર ખાતે બદલી કેમ્પ યોજાશે. જોકે, બદલી કેમ્પમાં અગ્રતાક્રમના કેટલાક નિયમોને-જોગવાઈઓને લઈને આંતરિક વિરોધ ઉઠયો છે. નિયમ પ્રમાણે પાંચ વર્ષે બદલી કરવાની હોય છે પરંતુ, લાગવગ અને ઓળખાણ ધરાવતા અને રાજકીય ગોઠવણથી કેટલાક અધ્યાપકો તો એક જ જગ્યાએ 15થી 20 વર્ષ સુધી નોકરીમાં છે. સરકારી કોલેજોના 484 અધ્યાપકોએ બદલી કેમ્પમાં ભાગ લેવા માટે અરજી કરી છે. રાજ્યમાં અત્યાર સુધી સરકારી કોલેજોના અધ્યાપકો માટે જાહેર હિતમાં બદલીઓ થતી હતી પરંતુ, પ્રથમવાર બદલી કેમ્પ અંતર્ગત માંગણીઓ-અરજીઓ આધારીત બદલી પ્રક્રિયા થઈ રહી છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ અગાઉ અધ્યાપકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવાઈ હતી. જુદી જુદી સરકારી કોલેજના જુદા જુદા 22 વિષયોના 484 અધ્યાપકોએ બદલી કેમ્પમાં ભાગ લેવા માટે અરજી કરી છે.
સરકારી કોલેજોના અધ્યાપકોના કહેવા મુજબ બદલી કેમ્પમાં જુદા જુદા સમયના સ્લોટમાં અધ્યાપકોને બોલાવવામાં આવ્યા છે. આ બદલી કેમ્પ ગાંધીનગરની સરકારી કોમર્સ કોલેજ ખાતે 3 જૂન સુધી યોજાશે. જેમાં 29, 30, 31 મે તથા 2 અને 3 જૂન એમ પાંચ દિવસ બદલી કેમ્પમાં પ્રક્રિયા થશે અને માંગણીઓ તેમજ અગ્રતાક્રમ મુજબ બદલીના ઓર્ડર કરાશે. નિયમ મુજબ ત્રણથી પાંચ વર્ષે અધ્યાપકોની બદલી થવી જોઈએ પરંતુ ઘણા સમયથી બદલીઓ જ કરાઈ નથી. સિનિયોરિટી પ્રમાણે અગ્રતાક્રમને લઈને ફરિયાદો ઊઠી છે,
સરકારી કોલેજોના કેટલાક અધ્યાપકોમાં આ રીતના બદલી કેમ્પને લઈને પણ આંતરિક વિરોધ ઉઠવા સાથે ઉચ્ચ શિક્ષણ જગતમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ખાસ કરીને બદલીમાં અગ્રતાક્રમના કેટલાક નિયમો-જોગવાઈઓને લઈને આંતરિક વિરોધ ઉભો થયો છે. અઘ્યાપક દંપતીના કેસમાં પતિ કે પત્નીને તેમજ 55 વર્ષ કે તેથી વધુ વયના અધ્યાપકોને અને એક જ જગ્યાએ જેટલા વધુ વર્ષ તે મુજબ પણ બદલીમાં સિનિયોરિટી પ્રમાણે અગ્રતાક્રમ અપાયો છે, જેને લઈને કરિયાદો ઉઠી છે કે એક જ જગ્યાએ 15 વર્ષ, 18 વર્ષ કે 20 વર્ષથી અધ્યાપક હોવા છતા પણ તેઓને પસંદગીની જગ્યાએ અગ્રતાક્રમ આપવામાં આવ્યો છે પરંતુ તેના બદલે જેઓ જુનિયર છે અને બે-ત્રણ વર્ષથી દૂરના અંતરિયાળ વિસ્તારોમાં છે તેઓને અગ્રતાક્રમ આપવો જોઈએ. આ ઉપરાંત નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષની છે ત્યારે સરકારે આ બદલી કેમ્પમાં 55 વર્ષના અધ્યાપકોને પોતાની પસંદગીની જગ્યા માટે અગ્રતાક્રમ આપ્યો છે જેથી એક જગ્યાએ રહી શકે છે અથવા પસંદગીની જગ્યાએ બદલી થઈ શકે છે. જો કે બીજી બાજુ આ પ્રકારે પસંદગી આધારીત કોમન બદલી પ્રક્રિયાથી અધ્યાપકો ખુશ પણ છે. સાથોસાથ બદલીની આ આખીય પ્રક્રિયા અન્યાયી છે.