અમદાવાદ ડિવિઝનમાં રેલવે અને ટ્રાવેલ એજન્ટ્સ વચ્ચે સંવાદ યોજાયો
અમદાવાદઃ અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન (GTAA) સાથે મળીને રેલવે અને પ્રવાસન ક્ષેત્રના ભવિષ્યલક્ષી પહેલ પર એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય રેલવેની નીતિઓ અને યોજનાઓ દ્વારા પ્રવાસન અને વ્યવસાયિક તકોને મજબૂત બનાવવાનો હતો.
આ પ્રસંગે, અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું. તેમણે ભારતીય રેલવેના આગામી પ્રોજેક્ટ્સ, નીતિગત સુધારાઓ, અને મુસાફરોની સુવિધાઓમાં નવીનતા લાવવા માટેની પહેલ વિશે માહિતી આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય રેલવે માત્ર દેશની પ્રગતિનો આધારસ્તંભ નથી, પરંતુ તે પ્રાદેશિક આર્થિક વિકાસ, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને પ્રવાસન પ્રમોશનમાં પણ એક મહત્ત્વપૂર્ણ કડી છે.
ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના પ્રમુખ સંકેત શાહે ભારતીય રેલવેના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની પ્રશંસા કરી અને બંને ક્ષેત્રોના સહયોગથી પ્રવાસનને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી. આ પરિસંવાદથી રેલવે અને ટ્રાવેલ એજન્ટ્સ વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત થશે, જે પ્રવાસીઓ માટે નવી તકો ઊભી કરશે.