દિલ્હી બ્લાસ્ટના આરોપીઓને બક્ષવામાં નહીં આવેઃ અમિત શાહ
નવી દિલ્હી: લાલકિલ્લા નજીક થયેલા વિસ્ફોટ પછી રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે (મંગળવાર) બે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું અધ્યક્ષસ્થાન કરીને ઘટનાની વિગતવાર ચર્ચા કરી હતી. સવારે પ્રથમ બેઠક અને બપોરે બીજી બેઠકમાં તેમણે તપાસની પ્રગતિ અંગે માહિતી મેળવી અને દોષીઓને કાયદાના કટઘરામાં લાવવાના સ્પષ્ટ આદેશ આપ્યા હતા.
આ બેઠકમાં કેન્દ્રિય ગૃહસચિવ, એનઆઈએ ડિરેક્ટર જનરલ અને અનેક તપાસ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરના ડીજીપી નલિન પ્રસા* પણ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા. અધિકારીઓએ ગૃહમંત્રી સમક્ષ વિસ્ફોટ બાદની હાલત, સ્થળ પરથી મળેલા પુરાવા અને અત્યાર સુધીના સુત્રોની વિગત રજૂ કરી હતી..
ગૃહમંત્રાલયે આ વિસ્ફોટની તપાસનું કામ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપી દીધું છે. એનઆઈએને સામાન્ય રીતે આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત કેસોની તપાસ સોંપવામાં આવે છે, તેથી સ્પષ્ટ છે કે સરકાર આ ઘટનાને આતંકી કૃત્ય તરીકે જોઈ રહી છે.
બેઠક બાદ અમિત શાહે જણાવ્યું કે, “સિનિયર અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં દોષિતોની શોધખોળ માટે સ્પષ્ટ દિશા આપવામાં આવી છે. આ કૃત્યમાં સંકળાયેલા દરેક વ્યક્તિને કાનૂની રીતે કડક સજા અપાશે.” તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈપણ પ્રકારની ઢીલ ન રાખવામાં આવે અને તપાસ એજન્સીઓએ આ સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવું જોઈએ.
દિલ્હી પોલીસે લાલકિલ્લા નજીક થયેલા વિસ્ફોટ અંગે UAPA (Unlawful Activities Prevention Act) હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ રાજધાનીના અનેક સ્થળોએ તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ટોચની તપાસ એજન્સીઓ ઘટનાની પૂરી તપાસ કરી રહી છે અને જલ્દી જ આ કાવતરાનું સંપૂર્ણ ચિત્ર બહાર આવશે.