દિલ્હી બન્યું ક્રાઈમ કેપિટલ, વેપારીની સરાજાહેર ગોળીમારીને કરાઈ હત્યા
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય તેમ ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. જેને લઈને અરવિંદ કેજરિવાલ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન આજે ફરી એકવાર દિલ્હીમાં ગંભીર ઘટના બની હતી. મોટરસાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીની ગોળીમારીને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને હત્યારાઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
ઉત્તર-પૂર્વીય દિલ્હીના શાહદરામાં મોર્નિંગ વોક ઉપર નીકળેલા વેપારીની બાઈક ઉપર આવેલા બે શખ્સોએ ગોળી મારીને હત્યા કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. સુનીલ જૈન નામના વેપારીની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર યમુના સ્પોર્ટ કોમ્પલેક્સ નજીક સુનિલ જૈન ઉપર સાત રાઉન્ડ જેટલુ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી ચારેક ગોળીઓ વાગતા વેપારીનું મોત થયું હતું. વેપારી સ્કૂટર ઉપર જઈ રહ્યાં હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું.
ઘટનાને લઈને ડીસીપી પ્રશાંત ગૌત્તમએ જણાવ્યું હતું કે, આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. 52 વર્ષના વેપારી સુનીલ જૈન સવારે મોર્નિંગ વોક કરીને ઘરે જઈ રહ્યાં હતા ત્યારે મોટરસાઈકલ ઉપર આવેલા બે શખ્સોએ ગોળીબાર કર્યો હતો. સમગ્ર ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યાં છે. જૈન પરિવારએ જણાવ્યું હતું કે, તેમની કોઈની સાથે દુશ્મની નથી અને કોઈએ તેમને ધમકી પણ આપી ન હતી.