દિલ્હીમાં પ્રદુષણને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ વાહનો ઉપર 1 નવેમ્બરથી પ્રતિબંધ ફરમાવાયો
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે જેના પરિણામે તંત્ર ચિંતામાં મુકાયું છે અને પ્રદુષણ ઉપર કાબુ મેળવા માટે પ્રયાસો શરૂ કર્યાં છે. દરમિયાન હવે દિલ્હીમાં 1લી નવેમ્બરથી કોમર્શિયલ વાહનોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 નવેમ્બરથી દિલ્હીમાં બીએસ-6થી નીચેના તમામ કોમર્શિયલ વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. બીએસ-6 સીએનજી, એલએનજી અને ઈવીને છુટ આપવામાં આવી છે. તમામ બીએસ-6 કોમર્શિયલ વાહનોને 31મી ઓક્ટોબર સુધી દિલ્હીમાં પ્રવેશની મંજુરી છે.
આ અગાઉ દિલ્હી પરિવહન વિભાગે આદેશ જાહેર કરીને જણાવ્યું હતું કે, બીએસ-6 માનકવાળા કોમર્શિયલ માલવાહક વાનોને 31મી ઓક્ટોબર સુધી દિલ્હીમાં પ્રવેશની મંજુરી આપવામાં આવે છે. આ પછી, આ વાહનો પર પણ પ્રતિબંધ લાદવામાં આવશે, અને ફક્ત ઇલેક્ટ્રિક કાર્ગો વાહનોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીની હવા ગુણવત્તામાં લાંબા ગાળાના સુધારા અને પડોશી રાજ્યોથી આવતા પ્રદૂષક વાહનોને રોકવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પવનની દિશામાં ફેરફાર અને પવનની ગતિમાં ઘટાડો થવાને કારણે રાજધાનીમાં વાયુ પ્રદૂષણમાં થોડો સુધારો થયો છે. સોમવારે, હવા ગુણવત્તા સૂચકાંક 301 નોંધવામાં આવ્યો હતો દિવસભર હળવા ધુમ્મસનો છાંયો જોવા મળ્યો હતો, જેના કારણે દૃશ્યતા નબળી રહી હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) એ આગાહી કરી છે કે ગુરુવારે હવા ગુણવત્તા નબળી શ્રેણીમાં પહોંચી શકે છે. સોમવારે, દક્ષિણપૂર્વથી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. CPCB અનુસાર, આનંદ વિહારમાં 400 થી વધુનો સૂચકાંક નોંધવામાં આવ્યો હતો. આ સિઝનમાં 14 ઓક્ટોબરે દિલ્હીની હવા ગુણવત્તા નબળી શ્રેણીમાં પહોંચી ગઈ હતી.