શેર સર્ટિફિકેટવાળા રહેઠાણના મકાનોની ટ્રાન્સફર ડ્યુટીમાં 80 ટકા માફ કરવાનો નિર્ણય
- અગાઉ વેચનારને વેચાણ સમયે ડબલ માર પડતો હતો,
- રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો મહત્વનો મહેસુલી નિર્ણય,
- મૂળ ડયૂટીના 20 ટકા તથા દંડની રકમ મળીને લેવા પાત્ર ડ્યૂટી જેટલી જ રકમ વસૂલાશે
ગાંધીનગરઃ રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરોમાં વર્ષો જુની રહેણાક સોસાયટીઓમાં શેર સર્ટિફિકેટ આપીને મકાનોના એલોટમેન્ટ કરાયા હતા. વર્ષ 2001-02 સુધી હાઉસિંગ કો-ઓપરેટિવ સોસાયટીઓ રજિસ્ટર્ડ કરાવીને શેર સર્ટિફિકેટ આપીને એલોટમેન્ટ લેટર સાથે મકાનોનો કબજો અપાતો હતો. ત્યારબાદ સરકારે નવા મકાનો માટે દસ્તાવેજનો નિયમ બનાવ્યો અને જુદા જુદા વિસ્તારોની જંત્રી જાહેર કરવામાં આવી અને તેના આધારે તેના આધારે દસ્તાવેજનો ખર્ચ કરવો પડે છે. પણ સરકાર દ્વારા જુના શેર સર્ટિકિકેટવાળા મકાનોના વેચાણ સમયે તોતિંગ સ્ટેમ્પ ડ્યુટી વસુલવામાં આવી રહી હતી.તેથી આ મામલે ભારે વિરોધ ઊઠ્યો હતો. અને સરકારને અનેક રજુઆતો મળી હતી. આથી સરકારે મૂળ ડયૂટીના 20 ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવા પાત્ર ડ્યૂટી જેટલી જ રકમ વસૂલવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમવર્ગીય પરિવારો-લોકોને આવાસ તબદિલીઓ માટે ભરવાપાત્ર ડ્યૂટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ મહત્ત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસિયેશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદિલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યૂટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યૂટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યૂટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમવર્ગના લોકો ઉપર આવા તબદિલીના કિસ્સાઓમાં જે નાણાકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના, મધ્યમવર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કરેલા નિર્ણય અનુસાર, હવે મૂળ ડ્યૂટીના 20 ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવા પાત્ર ડ્યૂટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે.રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યૂટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યૂટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે. આવા તબદિલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં.