જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કારણે થતાં મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો: અમિત શાહ
નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. NDA સરકારમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે અને આતંકવાદી ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
ગઈકાલે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પરની ચર્ચાનો જવાબ આપતા શાહે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં સરકારે રાજકીય ઇચ્છાશક્તિ અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દેશની સુરક્ષાને મજબૂત બનાવી છે. તેમણે કહ્યું કે દેશે ભૂતકાળમાં ત્રણ મુખ્ય પડકારોનો સામનો કર્યો છે – જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ અને ઉત્તરપૂર્વમાં બળવાખોરી – જેણે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં અવરોધ ઊભો કર્યો હતો. શાહે કહ્યું કે કલમ 370 દૂર કરીને, મોદી સરકારે બંધારણના ઘડવૈયાઓનું ‘એક બંધારણ, એક ધ્વજ’નું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.
ગૃહમંત્રીએ કહ્યું કે આવતા વર્ષે માર્ચ સુધીમાં ભારતમાં નક્સલવાદનો અંત આવશે. અગાઉ, ચર્ચામાં ભાગ લેતા, કોંગ્રેસના સાંસદ અજય માકને દિલ્હીમાં વધતા ગુનાઓનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે દિલ્હીમાં મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો સામે ગુનાનો દર સૌથી વધુ છે.