ગંભીરા બ્રિજ દૂર્ઘટનામાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, બે મતદેહ ગર્ડર નીચે ફસાયેલા જોવા મળ્યા
- નદીમાં સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂમાં મુશ્કેલી,
- દુર્ઘટનાના ત્રીજા દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા,
- બ્રિજ દૂર્ઘટનાની તપાસ 30 દિવસમાં પુરી કરાશે
અમદાવાદઃ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા પાદરા નજીકના હાઈવે પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે. બ્રિજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત બોરસદ તાલુકાના દહીવણ ગામના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે બે મૃતદેહ ગડરની નીચે ફસાયેલા છે. આમ કુલ મૃત્યુઆંક 21 થયો છે. દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે બ્રિજ દૂર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વડોદરા જઈને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બ્રિજ દૂર્ઘટનાના ભોગ બનેલા લોકોની ખબર-અંતર પૂછી હતી.
વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ ગઈ તા. 9મી જુલાઈએ તૂટી પડતા મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે. દૂર્ઘટનાના આજે ત્રીજા દિવસે પણ નદીમાં પડેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં ચાલતી લાલિયાવાડી તો ખુલ્લી પાડી જ દીધી છે. પરંતુ, દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈ પણ સવાલ ઉઠ્યા છે. દુર્ઘટનાના ત્રીજા દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓએ કલેક્ટર પાસેથી રેસ્ક્યૂ ઓપરેશનની માહિતી મેળવી હતી.
ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના ગઈ તા. 9 જુલાઈને સવારના સમયે બની હતી. આ ઘટના બાદ રેસ્ક્યુની કામગારી કરવામાં આવતા રાત્રિ સુધીમાં નદીમાંથી 13 મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારબાદ 10મી તારીખે પૂનમ હોય અને મહીમાં ભરતીના પાણી આવતા રેસ્ક્યૂ કામગીરીને અસર પડી હતી. જો કે, ઓટ આવ્યા બાદ 10મી તારીખે રેસ્ક્યૂ કામગીરી યથાવત્ રખાતા વધુ 5 મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક 18 થયો હતો. ત્યારબાદ આજે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું મોત નિપજ્યું હતું. અને વધુ બે મૃતદેહ ગડરની નીચે ફસાયેલા જોવા મળતા મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે. રેસ્ક્યૂનો આજે(11 જુલાઈ) સતત ત્રીજો દિવસ હતો, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કઢાઈ હતી, સાથે જ નદીમાં ટ્રકમાં રહેલા સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતુ હોવાથી રેસ્ક્યૂમાં મુશ્કેલી આવી હતી, આજે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઘટનાસ્થળની મુલાકાતે આવ્યા હતા. તેમણે મીડિયાને જણાવ્યું કે અહીં રેસ્ક્યૂમાં મુશ્કેલ ન પડે એટલે હું કે અન્ય મંત્રી આવ્યા ન હતા. આજે હું ઘટનાનો તાગ મેળવવા આવ્યો છું અને સાથે આર એન્ડ બીના અધિકારીઓ છે. પ્રાથમિક તબક્કે હાલ સામે આવ્યું છે કે, પેડેસ્ટીયલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજ સ્લાઇડ થઈ ગયો છે. સરકારે સસ્પેનશનના પગલાં લઇ લીધા છે. 30 દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓને આદેશ કર્યા છે.