દમણના IAS અધિકારીએ પેનની ચોરીમાં નાના બાળક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી
- સ્કૂલમાં ભણતા બાળકે અધિકારીની પેનની ચોરી કરી હતી
- જુનેવાઈલ બોર્ડે બાળકને જામીન આપ્યા
- અધિકારી પાસે સમાજ કલ્યાણ અને બાળ વિકાસના વિભાગો છે
દમણઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એક આઈએએસ અધિકારીના ઘરની બહાર રમતા બાળકોમાંથી એક બાળકે અધિકારીના ટેબલ પર પડેલી પેનની ચોરી કરી હતી. પેનની ચોરી કરનારો વિદ્યાર્થી શાળામાં બણતો હોવાથી લખવા માટે પેનની ચોરી કરી હતી. આ બાબતની જાણ અધિકારીને થતાં પોલીસમાં બાળક સીમે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દમણ પોલીસ સ્ટેશનમાં અચરજ પમાડે તેવી ચોરીની ફરિયાદ નોંધાઈ અને આ ફરિયાદ નોંધાવનાર બીજુ કોઈ નહીં પણ દમણમાં કાર્યરત એક IAS અધિકારી હતા.આખરે પોલીસે સગીર બાળકના ભવિષ્યને નજરઅંદાજ કરીને ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(એ) અને 331(4) હેઠળ ગુનો દાખલ કરીને બાળકની ધરપકડ કરી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રના વર્ષ 2010ની બેચના IAS અધિકારી અજય ગુપ્તાએ તેમના ઘરમાંથી પેનની ચોરી થઈ હોવાની ફરિયાદ નાની દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. અને તેના માટે સગીર બાળકને જવાબદાર ઠેરવ્યો હતો. પોલીસે પણ અધિકારીના દબાણના કારણે બાળકની ધરપકડ કરી હતી.
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, IAS અધિકારી અજય ગુપ્તાના સરકારી આવાસ પાસે કેટલાક બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન સગીર બાળકની નજર IAS અધિકારીના બંગલાની અંદર રહેલાં એક ટેબલ પર પાર્કર પેન પડી હતી, જેને બાળકો ચોરી ગયા હતા. જેની જાણ થતા IAS અધિકારીને નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અધિકારીની ફરિયાદ બાદ પોલીસ પણ અસમંજસમાં આવી હતી. પરંતુ IAS અધિકારીના દબાણના કારણે પોલીસે સગીર બાળકના ભવિષ્યને નજરઅંદાજ કરીને ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(એ) અને 331(4) હેઠળ ગુનો દાખલ કરીને બાળકની ધરપકડ કરી હતી. બાદ પોલીસે સગીર બાળકને કાયદા અનુસાર જુવેનાઇલ અને જસ્ટિસ બોર્ડના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકને જામીન આપી તેનો કબજો તેના પિતાને સોંપી દેવામાં આવ્યો હતો. આરોપી બાળક ધોરણ 8નો વિદ્યાર્થી હોવાની માહિતી મળી છે. જામીન મળતા જ બાળકના પિતા પુત્રને લઈને ત્યાંથી રવાના થઈ ગયા હતા
આ બનાવમાં આશ્ચર્યની વાત તો એ છે કે આ અધિકારી પાસે સમાજ કલ્યાણ અને મહિલા-બાળ વિકાસ વિભાગની જવાબદારી છે. છતાં પેન ચોરી જેવી બાબતે બાળક સામે ફરિયાદ નોંધાવી. તેમણે ધાર્યું હોત તો તેઓ પોલીસને બાળકને શોધી લાવવાનું કહી, તે બાળકોને મળી સમજાવી પણ શક્યા હોત. અને બાળક સાથે સારો વ્યવહાર કરી તેને મદદરૂપ થઈ શક્યા હોત. પરંતુ તેમણે એવું કર્યું નહીં. અધિકારીનો આ વ્યવહાર કદાચ બાળકના મનમાં ઘર કરી જશે તો તેની બાળકના માનસ પર વિપરીત અસર પણ થઈ શકે છે. આ સમગ્ર ઘટનાને લઈને લોકોએ IAS અધિકારીના નકારાત્મક વલણની ટીકા કરી હતી.