ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક લેન્ડફોલ થયું, દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શકયતા
હૈદરાબાદઃ ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) વહેલી સવારે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક લેન્ડફોલ થયું છે, જેના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ છે. ભારતીય હવામાન વિભાગે પુષ્ટિ કરી છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર રચાયેલા ચક્રવાત માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટક્યું હતું.
IMD અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોન્થા વાવાઝોડાંના કારણે કૃષ્ણા અને માછલીપટ્ટનમ જિલ્લાના ઘણા ભાગોમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ થયો. આ દરમિયાન કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. જેમાં અલ્લુરી જિલ્લામાં તોફાન દરમિયાન એક મહિલા પર ઝાડ પડવાથી તેનું મોત નીપજ્યું છે. જ્યારે બે અન્ય લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પડી ગયેલા વૃક્ષોને દૂર કરવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો તૈનાત કરવામાં આવી હતી. સોમવારથી ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહેલું આ ગંભીર ચક્રવાતી વાવાઝોડું દરિયાકાંઠાને પાર કર્યા પછી થોડું નબળું પડી ગયું હતું, પરંતુ તેના કારણે દક્ષિણ ભારતમાં વ્યાપક વરસાદ થવાની ધારણા છે.
IMDએ જણાવ્યું હતું કે, મોન્થાના પ્રભાવને કારણે, તમિલનાડુમાં આગામી છ દિવસ સુધી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. બુધવારે સવારે જારી કરાયેલા હવામાન બુલેટિનમાં ચેતવણી આપવામાં આવી છે કે, 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તેવામાં ક્યારેક 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે તમિલનાડુ, પુડુચેરી અને કન્યાકુમારી સમુદ્રના દરિયાકાંઠાના પ્રદેશોમાં ફૂંકાઈ શકે છે.
પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ચેન્નાઈમાં આકાશ મોટાભાગે વાદળછાયું રહેવાની અને કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન અને તમિલનાડુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ વરસાદ સંબંધિત ઘટનાઓને પહોંચી વળવા માટે તમામ કટોકટી નિયંત્રણ રૂમોને એલર્ટ પર રાખ્યા છે.